સ્વચ્છતાને જનજનનો સહજ સ્વભાવ બનાવવા તાપી જિલ્લો કટિબદ્ધ – ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી

તાપી જિલ્લામાં ‘નમો સ્વચ્છતા અભિયાન’ નો ઉત્સાહભેર પ્રારંભ
—
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંચળબેન ચૌધરી અને નગરપાલિકા પ્રમુખ ડો. પ્રિયાબેન પટેલ ઉપસ્થિત રહ્યા
—
મહાનુભાવોએ જનરલ હોસ્પિટલના પરિસરમાં સામુહિક સફાઈ કરીને પ્રેરક સંદેશો પાઠવ્યો
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 01. – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘નમો સ્વચ્છતા અભિયાન’ અને ‘અમૃતપાન અભિયાન’નો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરથી કરાવીને સ્વચ્છતાને સૌનો સહિયારો સંકલ્પ અને જનજનનો સહજ સ્વભાવ બનાવવાનું આહવાન કર્યું છે, જેમાં તાપી જિલ્લો પણ ઉત્સાહભેર સહભાગી બન્યો છે.
આ અભિયાનના ભાગરૂપે તાપી જિલ્લાની વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંચળબેન ચૌધરી અને નગરપાલિકા પ્રમુખ ડો. પ્રિયાબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘નમો સ્વચ્છતા અભિયાન’ કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ જણાવ્યુ કે, મુખ્યમંત્રીશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં ‘નમો સ્વચ્છતા અભિયાન’નો રાજ્યવ્યાપી શુભારંભ થયો છે. આ અભિયાન માત્ર હોસ્પિટલો સુધી જ મર્યાદિત નહીં રહે, પરંતુ દરેક ગામ, વિસ્તાર, શહેર અને તાલુકા સુધી પહોંચીને વ્યાપક સ્વચ્છતાનો સંદેશ ફેલાવશે. હોસ્પિટલો એવી જગ્યા છે જ્યાં લોકો આરોગ્ય સેવા મેળવવા આવે છે. તેથી આ સ્થળોને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા એ દરેકની જવાબદારી છે.
વધુમાં તેમણે કહ્યુ કે, આ અભિયાન અંતર્ગત સામૂહિક સ્વચ્છતા કાર્યક્રમો યોજાશે, જેમાં ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, હોસ્પિટલ કર્મચારીઓ, પંચાયતી રાજ સંસ્થાઓના પદાધિકારીઓ તેમજ સ્થાનિક લોકો સક્રિય ભાગ લેશે. સ્વચ્છતાને જનજનનો સહજ સ્વભાવ બનાવવા તાપી જિલ્લો કટિબદ્ધ છે.

નોંધનીય છે કે, તાપી જિલ્લાની ૩ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો, ૬ સામૂહિક આરોગ્ય કેન્દ્રો, ૩૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૨ અર્બન હેલ્થ સેન્ટરો અને ૨૪૧ આયુષ્માન આરોગ્ય મંદિરો ખાતેથી ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી તમામ અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, તબીબો, નર્સિંગ સ્ટાફે માર્ગદર્શન મેળવ્યુ હતુ.
કાર્યક્રમ પૂર્ણ થયે મહાનુભાવોએ હોસ્પિટલ પરિસરમાં સામુહિક સફાઈ કરીને નાગરિકોને સ્વચ્છ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરક સંદેશો પાઠવ્યો હતો. આ અભિયાનના ભાગરૂપે જિલ્લાના તમામ સીએચસી, પીએચસી સેન્ટરો ખાતે સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી. નોંધનીય છે કે, તાપી જિલ્લાની તમામ આરોગ્ય સંસ્થાઓમાં સામુહિક સાપ્તાહિક સ્વચ્છતા મહાઅભિયાન તા. ૧-૭ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન યોજાશે.
આ કાર્યક્રમમાં વ્યારા પ્રાંત અધિકારીશ્રી સંદીપભાઈ ગાયકવાડ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ વસાવા, તબીબો, સ્ટાફ નર્સ, આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત સંબંધિત, આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
