બારડોલીના સુશ્રી ત્વિષા વ્યાસની પસંદગી સંગીત નાટક અકાદમીના ‘ઉસ્તાદ બિસ્મિલ્લાખાં રાષ્ટ્રીય યુવા પુરસ્કાર માટે કરાઈ

કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કાર્યરત સંગીત નાટક અકાદમીના ‘ઉસ્તાદ બિસ્મિલ્લાખાં રાષ્ટ્રીય યુવા પુરસ્કાર માટે ત્વિષા વ્યાસની પસંદગી
“ગરબા એ આસ્થા, સંસ્કૃતિ અને સામૂહિક ઓળખની જીવંત અભિવ્યક્તિ” : સુશ્રી ત્વિષા વ્યાસ
………………….
દક્ષિણ ગુજરાતનું નગર બારડોલી… જ્યા સાંજ ઢળતા જ ગરબાના તાલ ગુંજે છે. અહીં એક તાલીમ કેન્દ્રમાં યુવા દીકરીઓ ગરબા શીખી રહી છે. દીકરીઓને એક યુવા કલાકાર ધીરજપૂર્વક ગરબામાં દરેક હાવભાવ, દરેક તાલ અને દરેક પગલાની બારીકીઓ સમજાવે છે.આ યુવા કલાકારનું નામ છે. -સુશ્રી ત્વિષા કિલ્લોલકુમાર વ્યાસ.
લોકનૃત્ય ‘ગરબા’ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કાર્યરત સંગીત નાટક અકાદમી દ્વારા વર્ષ ૨૦૨૫ના ‘ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાં યુવા રાષ્ટ્રીય પુરસ્કાર’માટે શ્રી ત્વિષા વ્યાસની પસંદગી થઈ છે.
ત્વિષા વ્યાસને આ સન્માન એવા સમયે મળ્યું છે જ્યારે થોડાં વર્ષો પહેલાં જ યુનેસ્કોએ ગુજરાતના પરંપરાગત ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન આપ્યું.
ગરબા માત્ર લોકનૃત્ય નહીં, એક જીવનદર્શન
બારડોલી ખાતે વી.કિલ્લોલકુમાર ગ્રુપ ઓફ મ્યુઝિક્ & નૃત્ય એકેડેમી ધરાવતા શ્રી ત્વિષા વ્યાસના મત મુજબ “ગરબા એ આસ્થા, સંસ્કૃતિ અને સામૂહિક ઓળખની જીવંત અભિવ્યક્તિ છે.” ત્વિષા વ્યાસની આ જ વિચારધારા તેમની કલાયાત્રાનો આધાર બની. મોટા ભાગના લોકો માટે લોકનૃત્ય સ્વરૂપે ગરબા શીખે છે, ત્યારે ત્વિષા વ્યાસએ ગરબાના મૂળ સ્વરૂપ, પરંપરા, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક અર્થને સમજવા માટે સાધના કરી.
ત્વિષા વ્યાસ : ગરબા સાથે અંગ્રેજી સાહિત્ય અને સંગીત-નૃત્યમાં ખેડાણ
ત્વિષા વ્યાસની ઓળખ માત્ર લોકનૃત્ય સુધી મર્યાદિત નથી. તેઓએ અંગ્રેજી સાહિત્યમાં અનુસ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. સાથોસાથ તેઓ સારા વાયોલિન વાદક પણ છે.ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, શ્રી રામનાથ કોવિંદજી, શ્રી આનંદજી કલ્યાણ સમક્ષ વાયોલિન વાદન કરી ચૂક્યા છે. તેઓ માસ્ટર ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ M.P.A તથા ભરતનાટ્યમમાં M.A – ‘અલંકાર’ ગોલ્ડ મેડાલિસ્ટ છે. તેઓ વાયોલિન ઉપરાંત મેન્ડોલિન, વાંસળી, હાર્મોનિયમ તથા તબલા , જેવા અનેક વાદ્યોમાં પણ નિપુણ છે. નૃત્ય અને સંગીત બંને ક્ષેત્રમાં પ્રાપ્ત આ વ્યાપક તાલીમે ત્વિષા વ્યાસને લય, અભિવ્યક્તિ અને રજૂઆતની વિશિષ્ટ સમજ આપી છે, એક સંગીતકાર હોવાનો અનુભવ ગરબામાં ઉમેર્યો છે જે તેમની દરેક ગરબા પ્રસ્તુતિમાં ઝળકે છે.
ત્વિષા વ્યાસ ગુજરાત સરકાર દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય તરણેતરના મેળા, ચોટીલા ઉત્સવ, મોઢેરા ઉત્સવ, ડાકોર ફાગણોત્સવ, વસંતોત્સવ, G-20, ગુજરાત ગૌરવ અભિયાન, અંબાજી મહોત્સવ, સહિતના અનેક પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પોતાની કલા પ્રસ્તુત કરી ચૂક્યાં છે. કલા મહાકુંભ, યુવા ઉત્સવ જેવી સરકારની વિવિધ સ્પર્ધામા નિર્ણાયક તરીકેની સેવા આપી રહ્યા છે. ગુજરાતની સીમાઓની બહાર પણ તેમણે રાજસ્થાન, ઓડિશા, આંધ્ર પ્રદેશ, મણિપુર, કલકત્તા, ઝારખંડ, અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં ગુજરાતના ગરબા અને લોકસંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
વારસાના સંવર્ધનની સહિયારી જવાબદારી
ત્વિષા વ્યાસ માટે આ રાષ્ટ્રીય સન્માન સફરનો અંત નથી, પરંતુ નવી જવાબદારીની શરૂઆત છે. તેઓ દ્રઢપણે માને છે કે નવી પેઢી એ ગરબાને માત્ર મનોરંજન તરીકે નહીં, પરંતુ આપણા સાંસ્કૃતિક વારસાના જીવંત સ્વરૂપ તરીકે સમજવા જોઇએ. અને તેની પવિત્રતા અને મૂળભૂત પરંપરા જળવાઈ રહે તે માટે આપણે સૌએ સહિયારા પ્રયત્ન કરવો જોઈએ.”ત્વિષા વ્યાસનો આ વિચાર આજના સમયમાં વધુ મહત્વનો બની જાય છે, જ્યારે પરંપરાગત કલાઓ આધુનિક જીવનશૈલી અને વ્યાવસાયિક મનોરંજન વચ્ચે પોતાનું સ્થાન જાળવવા માટે પ્રયત્નશીલ છે, ત્યારે
ત્વિષા વ્યાસ જેવા યુવા કલાકારો પરંપરા અને આધુનિકતા વચ્ચેનો સેતુ બની રહ્યા છે. તેઓ દર્શાવે આધુનિકતા વચ્ચે પણ વારસાનું જતન કરવું કપરું નથી.
ગુજરાતની લોકકલાનું બહુમાન
ત્વિષા વ્યાસની સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નથી, પણ તે ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિનું બહુમાન છે.આજે જ્યારે લોકપ્રિયતા સફળતાનો માપદંડ ગણાય છે , ત્યારે ત્વિષા વ્યાસની સફર શાંત સાધના, વર્ષોની મહેનત અને સંસ્કૃતિ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાની અલગ જ કહાની રજૂ કરે છે.
બારડોલીના ગરબાના ચોકથી દેશના સર્વોચ્ચ યુવા કલા સન્માન સુધીની ત્વિષા વ્યાસની સફર આપણને યાદ અપાવે છે કે પરંપરાઓ ત્યારે જ જીવંત રહે છે, જ્યારે નવી પેઢી તેને માત્ર વારસામાં મેળવતી નથી, પરંતુ ગૌરવપૂર્વક આગળ પણ ધપાવે છે.
અને કદાચ… આ રીતે જ સંસ્કૃતિનું જતન,સંવર્ધન પ્રચાર પ્રસાર થતું રહે છે.
……………………..
હરેશ્વરી રાબા
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
