181 મહિલા હેલ્પલાઇન ટીમની સમયસર સમજાવટથી પારિવારિક વિવાદનો સુખદ અંત*
181 helpline

કાઉન્સેલિંગ અને કાયદાકીય માર્ગદર્શનથી પતિ-પત્ની વચ્ચેના મતભેદો દૂર થયા, બાળકના હિતને પ્રાથમિકતા આપી સાથે રહેવાનો નિર્ણય
(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૧૭. કતારગામ વિસ્તારની 181 મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા પારિવારિક વિવાદના એક સંવેદનશીલ કેસમાં સમયસર હસ્તક્ષેપ કરી પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું.
181 મહિલા હેલ્પલાઇન પર એક મહિલાનો કોલ મળતા ટીમ દ્વારા તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી. મહિલાની ગોપનીયતા જાળવવા માટે અહીં તેમનું નામ “અંકિતા” (નામ બદલેલ છે) રાખવામાં આવ્યું છે. અંકિતાબેને જણાવ્યું હતું કે તેમના લગ્નજીવનને આશરે એક વર્ષ થયું છે અને તેમને બે માસનું બાળક છે. પતિના અન્ય મહિલા સાથેના સંબંધ અંગે અંકિતાબેનને જાણ થતાં પતિ-પત્ની વચ્ચે મતભેદો સર્જાયા હતા. પતિ તેમને સાથે રાખવા ઇચ્છતા ન હોવાની તેમજ બાળકને પોતાની સાથે રાખવાની વાત કરતા હોવાની રજૂઆત પણ અંકિતાબેને કરી હતી.
મળેલી માહિતીના આધારે 181 મહિલા હેલ્પલાઇન કતારગામ ટીમે સમયસર હસ્તક્ષેપ કરી અંકિતાબેન અને તેમના પતિ સાથે શાંતિપૂર્ણ વાતચીત તથા કાઉન્સેલિંગ કર્યું હતું. ટીમે બંને પક્ષોની વાત ધ્યાનપૂર્વક સાંભળી સમગ્ર પારિવારિક પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કર્યો હતો.
કાઉન્સેલિંગ દરમિયાન 181 ટીમ દ્વારા અંકિતાબેનના પતિને પરિવાર પ્રત્યેની જવાબદારી, પરસ્પર વિશ્વાસ, સન્માન અને સમજણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. અન્ય વ્યક્તિ સાથેના સંબંધને કારણે પતિ-પત્ની અને પરિવાર પર થતી અસર અંગે પણ સમજણ આપવામાં આવી હતી. સાથે જ માત્ર બે માસના બાળકને માતા અને પિતા બંનેના પ્રેમ, સંભાળ અને સહકારની જરૂરિયાત હોય છે તે સમજાવી બાળકના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બંને પક્ષોને તેમની પરિસ્થિતિને અનુરૂપ કાયદાકીય હકો અને જવાબદારીઓ અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ટીમ દ્વારા સમજાવવામાં આવ્યું હતું કે કોઈપણ નિર્ણય ઉતાવળમાં લેવાને બદલે પરસ્પર વાતચીત, સમજણ અને જવાબદારીપૂર્વક પરિવારજીવન અંગે નિર્ણય લેવો જોઈએ.
181 મહિલા હેલ્પલાઇન ટીમની સમજાવટ, અસરકારક કાઉન્સેલિંગ અને કાયદાકીય માર્ગદર્શન બાદ અંકિતાબેન તથા તેમના પતિએ પરસ્પર વાતચીત કરીને સાથે રહીને પરિવારજીવન આગળ વધારવાનો નિર્ણય લીધો હતો. અંકિતાબેનના પતિએ પણ આગળથી પરિવાર પ્રત્યે જવાબદારીપૂર્વક વર્તન કરવાની તથા અગાઉ જેવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી કાળજી રાખવાની ખાતરી આપી હતી.
અંતે 181 મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા અંકિતાબેનને 181ની સેવાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી, હેરાનગતિ, પારિવારિક વિવાદ અથવા કટોકટીની પરિસ્થિતિ ઊભી થાય તો 181 પર ફરીથી સંપર્ક કરી શકાય તે અંગે સમજણ આપવામાં આવી હતી.
આમ, 181 મહિલા હેલ્પલાઇન કતારગામ ટીમના સમયસર હસ્તક્ષેપ, સંવેદનશીલ અભિગમ, અસરકારક કાઉન્સેલિંગ, કાયદાકીય માર્ગદર્શન અને સમજાવટથી પતિ-પત્ની વચ્ચેના મતભેદો દૂર થયા અને બંનેએ બાળકના હિતને ધ્યાનમાં રાખીને સાથે રહી પરિવારજીવન આગળ વધારવાનો નિર્ણય લીધો હતો. સમગ્ર કામગીરી દરમિયાન મહિલાની ગોપનીયતા જાળવવામાં આવી હતી અને પરિવારના સુખાકારી સાથે બાળકના હિતને પણ પ્રાથમિકતા આપવામાં આવી હતી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
