મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ₹962.12 કરોડના ખર્ચે નિર્મિત વિવિધ સિંચાઈ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થશે
નિવાસી અધિક કલેક્ટરશ્રી આર. આર. બોરડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમના આગોતરા આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૮ :- રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી સોમવાર, ૩૦ માર્ચ ૨૦૨૬ ના રોજ તાપી જિલ્લાના ખેડૂતો અને અંતરિયાળ વિસ્તારો માટે આશીર્વાદ સમાન સોનગઢ, ઉચ્છલ અને નિઝર ઉદવહન સિંચાઈ યોજનાઓનું લોકાર્પણ તેમજ નવી યોજનાઓનું રૂ. ૯૬૨.૧૨ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.
જેને અનુલક્ષીને શૂક્રવારે નિવાસી અધિકારી કલેકટરશ્રી આર. આર. બોરડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમના સુચારુ આયોજન અંગે બેઠકમાં અમલીકરણ અધિકારીઓની કામગીરી સુનિશ્ચિત કરીને પાણી, બેઠક વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થા સહિતની પ્રાથમિક સુવિધાઓ અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.
ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વર્ચ્યુઅલી જોડાઈને વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. આ પ્રસંગે જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, આદિજાતિ વિકાસ તથા તાપી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત વિશેષ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમ દરમિયાન તાપી નદીના પાણીનો મહત્તમ ઉપયોગ કરવાના ઉમદા હેતુથી તૈયાર કરાયેલી રૂ. ૬૫૧.૩૭ કરોડની ‘બોરીસાવર ઉદવહન સિંચાઈ યોજના’નું પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ યોજનાથી આગામી સમયમાં વિસ્તારની ખેતી અને સિંચાઈ સુવિધામાં મોટો પરિવર્તન આવશે.
આ ભવ્ય કાર્યક્રમમાં કલેકટર ડૉ. વિપીન ગર્ગ, જળ સંપત્તિ વિભાગના સચિવ શ્રી સી. પી. વ્યાસ સહિતના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, સ્થાનિક જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો સહભાગી થશે. તાપી જિલ્લાના વિકાસની ગતિને વેગ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
