કીમ પ્રાથમિક શાળામાં શિક્ષિકા કૈલાશ પટેલનો નિવૃત્તિ વિદાયમાન કાર્યક્રમ યોજાયો
ધોરણ-૮નાં વિદ્યાર્થીઓને પણ વિદાય સાથે આશીર્વચન પાઠવવામાંઆવ્યા
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કીમ પ્રાથમિક શાળામાં દ્વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાનાં પટાંગણમાં યોજાયેલ આ કાર્યક્રમમાં વય નિવૃત્ત થતાં શિક્ષિકા શ્રીમતી કૈલાશબેન ઇન્દ્રવદનભાઈ પટેલ તથા શાળામાં અભ્યાસ કરતાં ધોરણ-૮નાં વિદ્યાર્થીઓને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. આ તબક્કે શાળાનાં પટાંગણમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં. દીપ પ્રજ્વલન અને પ્રાર્થના બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાળાનાં આચાર્ય પુષ્પાબેન રાવળે સૌનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં ઉપપ્રમુખ સતિષ પરમાર, સી.આર.સી. કો-ઓર્ડિનેટર અશોક પટેલ, કીમ કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં મુખ્યશિક્ષકો સહિત વાલીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
અત્રેની શાળામાં વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક શિક્ષણની જ્યોત જલાવનાર કૈલાશબેન પટેલનું શાળા પરિવાર દ્વારા શાલ, સ્મૃતિચિહ્ન અને સન્માનપત્ર આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત વક્તાઓએ તેમનાં શૈક્ષણિક પ્રદાન અને માતૃત્વસમા સ્વભાવની પ્રશંસા કરી હતી. પોતાનાં પ્રતિભાવમાં કૈલાશબેને શાળા અને સાથી શિક્ષકમિત્રો સાથેનાં સંભારણા વાગોળ્યા હતાં અને શાળાનાં વિદ્યાર્થીઓને જીવનમાં સફળ થવા માટે પ્રેરણા આપી હતી. બીજીતરફ ધોરણ-૮નાં વિદ્યાર્થીઓ કે જેઓ હવે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી હાઈસ્કૂલમાં પ્રવેશવાનાં છે, તેમને કુમકુમ તિલક કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પણ તેમનાં અભ્યાસકાળનાં અનુભવો શેર કરતાં ભાવુક થયા હતાં. અંતમાં યજમાન શાળાનાં ઉપશિક્ષક ભાવિન પટેલે આભારવિધિ આટોપી હતી. આજનો દિવસ કીમ પ્રાથમિક શાળા માટે હર્ષ અને અશ્રુઓનાં મિશ્રણ સમાન રહ્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
