તાપીના સીડબોલ મેન વિજેશભાઈ ગામીતની પર્યાવરણીય સેવાને બિરદાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
૯૦ હજાર સીડબોલથી જંગલો હરિયાળા બનાવતા તાપીના વિજેશભાઈની કામગીરીની રાજ્યસ્તરે નોંધ
—
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શુભેચ્છા પત્ર પાઠવી વિજેશભાઈને પ્રોત્સાહન
—-
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 25 :- રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના પર્યાવરણ પ્રેમી અને વીજ વિભાગમાં ફરજ બજાવતા શ્રી વિજેશભાઈ ગામીતની પ્રશંસનીય કામગીરીની નોંધ લઈ તેમને શુભેચ્છા પત્ર પાઠવ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ વિજેશભાઈ દ્વારા કરવામાં આવતા સીડબોલ અભિયાનને ગુજરાતને હરિયાળું બનાવવાના સંકલ્પમાં એક મહત્વનું યોગદાન ગણાવ્યું છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના શુભેચ્છા પત્રમાં જણાવ્યું કે, વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ પર્યાવરણ સંકટનો સામનો કરી રહ્યું છે, ત્યારે વિજેશભાઈ જેવા કર્મયોગીઓ શાંતિ અને નિષ્ઠાપૂર્વક પર્યાવરણ સંરક્ષણ માટે અપ્રતિમ કામગીરી કરી રહ્યા છે જે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે.
વધુમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યુ કે, વૃક્ષોને પર્યાવરણના ફેફસાં છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અને સોલાર પોલિસી જેવા મહત્વના અભિયાનો છે. જેને આગળ ધપાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન સાબિત થશે.
વિજેશભાઈ ગાયનું છાણ, સેન્દ્રીય ખાતર, માટી અને વિવિધ વનસ્પતિના બીજનું મિશ્રણ કરીને વૈજ્ઞાનિક પદ્ધતિથી સીડબોલ તૈયાર કરે છે. તેમના દ્વારા જંગલોના એવા અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારો જ્યાં માનવીનું પહોંચવું મુશ્કેલ હોય, ત્યાં આ સીડબોલ ફેંકવામાં આવે છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણી મળતા જ આ સીડબોલ કુદરતી રીતે અંકુરિત થઈને વિશાળ વટવૃક્ષમાં પરિવર્તિત થાય છે.
વિજેશભાઈએ અત્યાર સુધીમાં ડાંગના ઉત્તર-દક્ષિણ રેન્જ અને તાપી જિલ્લાના ગીચ વન વિસ્તારોમાં અંદાજે ૯૦ હજાર જેટલા સીડબોલનું વિતરણ કર્યું છે, અને આગામી પાંચ વર્ષમાં ૫ લાખના સીડબોલ વેરાન પ્રદેશોમાં નાખવાનુ તેમનુ લક્ષ્યાંક છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
