ઉચ્છલ ખાતે મહા આરોગ્ય શિબિરનો પ્રારંભ કરાવતા રાજ્ય મંત્રીશ્રી ડૉ.જયરામભાઈ ગામીત
ગ્રામ્ય નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ:-મંત્રીશ્રી ડૉ.જયરામભાઈ ગામીત
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 22 તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભડભૂંજા ખાતે જિલ્લા વહિવટી તંત્ર તેમજ ડી.આર.વી.એ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત આયોજન હેઠળ મહા આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરને રાજ્યકક્ષાના રમત ગમત અને સંસ્કૃતિ પ્રવૃતિઓ વિભાગના ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે વિધિવત્ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગ્રામ્ય અને અંત્યોદય વર્ગના નાગરિકોને ગુણવત્તાસભર અને સસ્તી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. આવા આરોગ્ય શિબિરો દ્વારા દુરસ્ત વિસ્તારોમાં રહેતા લોકો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાનું કાર્ય અસરકારક રીતે થઈ રહ્યું છે. સમયસર નિદાન થવાથી ગંભીર બીમારીઓને અટકાવી શકાય છે અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે છે. તેમણે “સૌનું આરોગ્ય સ્વસ્થ તો દેશ સ્વસ્થ”ના મંત્રને સાર્થક બનાવવા માટે આવા મેડિકલ કેમ્પનો દરેક નાગરિકે લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ડી.આર.વી.એ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ડૉ. ધર્મેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે અમારી ટ્રસ્ટ છેલ્લા 25 વર્ષથી આરોગ્ય સહિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજને સેવા આપી રહી છે અને આગલા સમયમાં પણ આવી સેવાઓ યથાવત્ રાખવામાં આવશે.
આ પ્રસંગે મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે શિબિરમાં દિવ્યાંગ નાગરિકોને મફત વ્હીલચેર વિતરણ કરવામાં આવી હતી. ઉપરાંત, દર્દીઓને મફત દવાઓ તેમજ પોષણયુક્ત આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શિબિર દરમિયાન હેલ્થ ચેકઅપ, સીકલ સેલ, એનિમિયા, આંખ, ઈએનટી, હાર્ટ ચેકઅપ, દાંતની તપાસ, બ્લડ ટેસ્ટ તેમજ સ્કિન સંબંધિત સારવાર જેવી સેવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, ડી.આર.વી.એ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ડૉ. ધર્મેન્દ્ર કુમાર, ટ્રસ્ટ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, ભડભૂંજાના સરપંચશ્રી સહિત આ મહા આરોગ્ય શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
