વ્યારા ખાતે ભવ્ય આયુષ મેળો યોજાયો
મિશ્ર શાળા વ્યારાના પટાંગણમાં આયોજિત આયુષ મેળામાં મોટી સંખ્યામાં લોકોએ આયુર્વેદની માહિતી મેળવી આયુષ સારવારનો લાભ લીધો
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ૧૬. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ આયુષ કચેરી, આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત તાપી દ્વારા વ્યારાની મિશ્ર શાળા ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત આયુષ મેળામાં બહોળી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી આયુર્વેદ અંગે જાણકારી મેળવી વિવિધ સારવાર અને ઉપચારનો લાભ લીધો હતો.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસીંહ વસવાએ જણાવ્યું હતું કે, આયુર્વેદ માત્ર દવા નથી પરંતુ આરોગ્યપ્રદ જીવન જીવવાની શૈલી છે. પ્રકૃતિ અનુસાર યોગ્ય આહાર અને રોજિંદી જીવનશૈલી અપનાવવાથી સ્વસ્થ જીવન જીવી શકે છે.વધુમાં સૌ નાગરિકોને રોગોના કાયમી નિવારણ માટે આયુર્વેદ અપનાવવાની તેમણે અપીલ કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ આયુર્વેદ અને યોગ અપનાવી તન તથા મનને તંદુરસ્ત રાખી દેશના સ્વસ્થ સમાજના નિર્માણ માટે સૌને અનુરોધ કર્યો હતો.
આયુષ મેળા દરમિયાન આઇસીડીએસ વિભાગ દ્વારા પોષ્ટિક આહારનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે તૈયાર કરાયેલ તલના લાડુ તથા ચીકીની પોષણ કીટ મહાનુભાવોના હસ્તે બાળકોને વિતરણ કરવામાં આવી હતી. સાથે જ બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પણ પીવડાવવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, આયુષ મેળામાં અંદાજિત કુલ ૧૩૧૭ નાગરિકોએ આયુર્વેદ, હોમિયોપેથી, પંચકર્મ, અગ્નિકર્મ, મર્મ ચિકિત્સા, સુવર્ણપ્રાશન, આયુર્વેદ અમૃત પાનક તથા ચાર્ટ પ્રદર્શન, આયુષ જીવનશૈલી અને ઔષધીય વનસ્પતિઓનું પ્રદર્શનો લાભ લીધો હતો.
આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વૈદ્ય જયશ્રી ચૌધરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આયુષ મેળામાં વ્યારા નગરપાલિકા પ્રમુખશ્રી પ્રમુખશ્રી રિતેશ ભાઈ ઉપાધ્યાય, નગરપાલિકા વ્યારાના સભ્યશ્રી મૃણાલભાઈ જોશી, સામાજિક અગ્રણી નિલેશભાઈ ચૌધરી,હેમંતભાઈ તરસાડીયા, સી.ડી.પી.ઓ શ્રી જાસ્મીનાબેન, આયુર્વેદિક ડોક્ટરોની ટીમ, મેડિકલ સ્ટાફ, આંગણવાડી કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
