રવિ પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને આહવાન
પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો વિશે ખેડૂતોને ઝીણવટપૂર્ણ માહિતી આપતાં વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સી.પી. પંડ્યા
—
વ્યારા ખાતે યોજાયેલી પ્રાકૃતિક વિષયક તાલીમ શિબિરમાં ૩૫ ખેડૂતો ઉત્સાહભેર જોડાયા
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 02. :- રવિ સિઝનના પાકોમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો વ્યાપ વધે તેવા ઉમદા આશય સાથે વ્યારા તાલુકાના કપુરા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારાના સી.પી.પંડ્યાના અધ્યક્ષસ્થાને તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં મુખ્યત્વે રવિ પાકો જેવા કે ઘઉં, ચણા અને મકાઈમાં પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતોનો અમલ કેવી રીતે કરવો તે અંગે ખેડૂતોને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો દ્વારા પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો પૈકી જીવામૃત અને ઘનજીવામૃત બનાવવાની પદ્ધતિ તેમજ તેના પાક પર થતા ફાયદાઓ વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત, વર્તમાન સમયમાં પાકોમાં જોવા મળતી રોગ-જીવાતના નિયંત્રણ માટે મોંઘા રાસાયણિક દવાના બદલે સ્થાનિક સ્તરે તૈયાર થતા જીવામૃત, ઘનજીવામૃત સહિતનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું જીવંત નિદર્શન અને માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કુલ ૩૫ જેટલા પ્રગતિશીલ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ તાલીમ કાર્યક્રમમાં ગુજરાત પ્રાકૃતિક ખેતી બોર્ડના ડીપીએમશ્રી પૂજાબેન, આત્મા વિભાગના સ્વાતિબેન, અનિલાબેન હાજર રહ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
