તાપી જિલ્લામાં ‘સુશાસન દિવસ’ની શાનદાર ઉજવણી
વક્તાઓ-અધિકારીઓએ પ્રાકૃતિક કૃષિ, પોષણ અને પ્રજાલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ૨૩. :- ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવતા ‘સુશાસન સપ્તાહ’ અંતર્ગત તા.૨૩મીએ તાપી જિલ્લા કલેક્ટર ડૉ. વિપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ અને નાયબ કલેક્ટરશ્રી નિશાંત કુગાશિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અને સુશાસનના લક્ષ્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર (DGVCL) શ્રી એસ.એફ. ચૌધરીએ ‘પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના’ ની વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, આ યોજના દ્વારા ગ્રાહકોનું વીજળી બિલ શૂન્ય થઈ શકે છે. આ તકે યોજનાનો લાભ મેળવી રહેલા લાભાર્થીઓએ પોતાના હકારાત્મક પ્રતિભાવો રજૂ કર્યા હતા. પ્રોગ્રામ ઓફિસરશ્રી તન્વીબેન પટેલે વિભાગની કામગીરીનો ચિતાર આપતા નવજાત શિશુઓ, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓ માટેની પોષણક્ષમ યોજનાઓની જાણકારી આપી હતી. તેમણે આરોગ્ય, શિક્ષણ અને ‘ટેક હોમ રાશન’ (THR) જેવી યોજનાઓના મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિકશ્રી સી.ડી. પંડ્યાએ વક્તા તરીકે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે રાસાયણિક ખેતીના ખર્ચ સામે પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદા, જમીનની ફળદ્રુપતા અને બજારમાં વધતી માંગ વિશે ખેડતોને માર્ગદર્શિત કર્યા હતા. બેડકુવાદુરના પ્રગતિશીલ ખેડૂતશ્રી પ્રતિકભાઈ ચૌધરીએ નોકરી છોડી વતનમાં પ્રાકૃતિક પદ્ધતિથી સીડલેસ લીંબુનું સફળ ઉત્પાદન અંગે જાણકારી આપી હતી.
આ પ્રસંગે નાયબ ચૂંટણી અધિકારીશ્રી ડી.વી. મદાત, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
