તાપી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્ર ખાતે ગ્રાહકોનો ખરીદી માટે નોંધપાત્ર ઉત્સાહ
જિલ્લા સેવા સદનની બહાર સપ્તાહમાં ત્રણ દિવસ પ્રાકૃતિક શાકભાજી અને ફળોનું વેચાણ થાય છે
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૩ :- તાપી જિલ્લા સેવા સદન પરિસરની બહાર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે કાર્યરત પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્ર ગ્રાહકોમાં ભારે લોકપ્રિયતા મેળવી રહ્યું છે. આ કેન્દ્રમાં દર સોમવાર, ગુરુવાર અને શનિવારે પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત શાકભાજી અને ફળોનું વેચાણ કરવામાં આવે છે, જે સ્વાસ્થ્ય પ્રત્યે સભાન ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક કૃષિ વેચાણ સાથે સંકળાયેલા વ્યારાના ઘાટા વિસ્તારના ખેડૂત શ્રી સુરેશચંદ્ર ગામીતના જણાવ્યા મુજબ, છેલ્લા બે વર્ષથી આ ત્રણ દિવસીય બજારમાં લાવવામાં આવતી પ્રાકૃતિક ઉત્પાદનો થોડા જ કલાકોમાં વેચાઈ જાય છે. આ દર્શાવે છે કે પ્રાકૃતિક ઉત્પાદનો પ્રત્યે ગ્રાહકોનો અભિગમ હકારાત્મક રીતે બદલાઈ રહ્યો છે.
શનિવાર, તા. ૧૩ ડિસેમ્બરના રોજ, આ વેચાણ કેન્દ્ર ખાતે પ્રાકૃતિક શાકભાજી ખરીદવા માટે ગ્રાહકોનો નોંધપાત્ર ઉત્સાહ જોવા મળ્યો હતો. આંબા મોર, આંબા હળદર,સુરણ, કેળા, ભીંડા, પપૈયા, વાલપાપડી, દૂધી, મરચાં અને મેથી સહિતની વિવિધતાસભર વસ્તુઓ વેચાણ માટે ઉપલબ્ધ હતી. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગ વિના ઉત્પાદિત આ પ્રાકૃતિક શાકભાજી વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકો મોટા પ્રમાણમાં ખરીદે છે.
તાપી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાના પ્રયાસો પરિણામલક્ષી સાબિત થયા છે. જે ખેડૂતોને રસાયણમુક્ત ખેતી તરફ વળવા માટે પ્રોત્સાહિત કરે છે અને ગ્રાહકોને આરોગ્યપ્રદ વિકલ્પ પૂરો પાડે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
