ઉચ્છલ તાલુકાના બાબરઘાટ-છાપટી-ચીખલી રોડ પર ટ્રાફિક ડાયવર્ઝન અંગે જિલ્લા મેજિસટ્રેટનું જાહેરનામું
બ્રિજનું કામ ચાલુ હોવાથી વૈકલ્પિક માર્ગ ઉપયોગમાં લેવા અનુરોધ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :- તા.૧૭. ઉચ્છલ તાલુકાના બાબરઘાટ-છાપટી-ચીખલી મેઈન રોડ આવેલ કોઝવેના સ્થાને નવો સ્લેબ ડ્રેઈન બ્રિજ બનાવવાનું કામ પ્રગતિમાં છે. ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ખાડીમાં પૂરનું પાણી હયાત કામચલાઉ ડાયવર્ઝન માટે જોખમરૂપ હોવાથી, આ રસ્તો ઉપયોગમાં લઈ શકાય તેમ નથી જેથી તાત્કાલિક ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.આર. બોરડ તાપી દ્વારા તેમને મળેલ સત્તાની રૂએ તાત્કાલિક ટ્રાફિક ડાયવર્ઝન કરી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અંગે એક જાહેરનામુ બહાર પાડ્યું છે.
જાહેરનામા મુજબ ઉપરોકત રસ્તા પર હાલનું કામચલાઉ ડાયવર્ઝન બંધ કરી તેના બદલે તાપી જિલ્લાના મુખ્ય મથક તથા ઉચ્છલ તાલુકા મથક ખાતે અરવજવર માટે (૧)બાબરઘાટ, મૌલીપાડા ગામના લોકોએ નૂરાબાદ તરફ જવા માટે બાબરઘાટ ઉચ્છલ-નિઝરના રસ્તે મોગલબારા થઈને અને (૨) નૂરાબાદ ગામના લોકોએ બાબરઘાટ, મૌલીપાડા જવા માટે, નૂરાબાદથી મોગલબારા થઈ બાબરઘાટ, મૌલીપાડા રોડનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરી શકાશે.
આ જાહેરનામું આગામી તા.૧૩/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સને ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

