વ્યારા ખાતે યોજાયેલી ‘પ્રગતિ પથ યાત્રા’માં પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ અને રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત જોડાયા

મહાનુભાવોએ ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને જળવાટિકા ગાર્ડન સહિતના વિકાસ પ્રકલ્પોની મુલાકાત લીધી
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૫. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં સેવા, સુશાસન અને જનકલ્યાણના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં “વિકસિત ભારત – વિકસિત ગુજરાત” સંકલ્પ અભિયાન વેગવંતું બન્યું છે. આ અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે વિકાસાત્મક અને ઐતિહાસિક સ્થળોને આવરી લેતી ભવ્ય ‘પ્રગતિ પથ યાત્રા’ યોજાઈ હતી.
આ યાત્રાનો મુખ્ય હેતુ તાપી જિલ્લામાં છેલ્લા એક દાયકાથી વધુ સમયમાં થયેલા વિકાસ, જનવિશ્વાસ અને જનકલ્યાણના કાર્યોને પ્રજા સમક્ષ ઉજાગર કરવાનો હતો. જ્યાં તાપી જિલ્લાના પ્રભારી અને રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ તેમજ રમત-ગમત અને પ્રવાસન રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે વ્યારા નગરના વિકાસની ઝાંખી કરાવતા વિવિધ મહત્વના પ્રકલ્પોની રૂબરૂ મુલાકાત લીધી હતી.
મહાનુભાવોએ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સમાન ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ, કુદરતી સૌંદર્યથી સભર જળ વાટિકા ગાર્ડન, કાનપુરા વિસ્તાર, અદ્યતન ફાયર સ્ટેશન, ખાટ ફળિયુ ખાતે આવેલ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ યુવાધનને પ્રોત્સાહન પૂરું પાડતા આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની મુલાકાત લીધી હતી. જ્યાં વ્યારા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી વંદનાબેન ડોબરિયાએ મંત્રીશ્રીઓને વ્યારાના વિકાસનો ચિતાર રજૂ કર્યો હતો.
પ્રગતિ પથ યાત્રામાં જિલ્લાના અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા, ધારાસભ્ય સર્વશ્રી મોહનભાઈ કોંકણી અને મોહનભાઈ ઢોડિયા, તેમજ વ્યારા નગરપાલિકાના પ્રમુખ ડો. પ્રિયા પટેલ સહિતના મહાનુભાવો ઉત્સાહભેર જોડાયા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
