૨૧ માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિવસ : ‘તાપી મોડેલ’ રાજ્ય માટે પ્રેરણાસ્ત્રોત

ફાઈલ તસવીર

Contact News Publisher

વર્ષ ૨૦૨૪માં સોનગઢ ખાતે એક જ દિવસે ૭ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર : ઐતિહાસિક ઘટનાના સાક્ષી બન્યા તત્કાલિન ગૃહરાજ્ય મંત્રી અને હાલના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી

એક પેડ માં કે નામ અભિયાનને આગળ ધપાવતા અત્યાર સુધી ૫૦ લાખથી વધુ વૃક્ષારોપણ કરાયું

વનોનું સંવર્ધન, સંરક્ષણ અને વિકાસમાં આ પહેલમાં જોડાવવા અનુરોધ કરતા નાયબ વન સંરક્ષકશ્રી સચીન ગુપ્તા

તાપી જિલ્લો પ્રકૃતિના ખોળે વસેલો, વન સંપદાથી સમૃદ્ધ અને હરિયાળીથી છલકાતો પ્રદેશ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૨૦. :- તાપી જિલ્લો પ્રકૃતિના ખોળે વસેલો, વન સંપદાથી સમૃદ્ધ અને હરિયાળીથી છલકાતો પ્રદેશ છે. અહીંના જંગલો, નદીઓ અને કુદરતી સૌંદર્ય માત્ર પર્યાવરણની જ નહીં, પરંતુ સ્થાનિક જીવનશૈલીની પણ ઓળખ છે. આજે ૨૧મી માર્ચ એટલે કે ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’… પ્રકૃતિ અને વનોના સંવર્ધન માટે વિશ્વભરમાં જ્યારે જનજાગૃતિના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે તાપી જિલ્લાએ પોતાની અનોખી અને સંવેદનાત્મક પહેલ દ્વારા સમગ્ર ગુજરાતમાં પર્યાવરણ સંરક્ષણનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં જનભાગીદારીથી લાખો વૃક્ષોનું વાવેતર કરીને એક નવો ઈતિહાસ રચાયો છે. માતા પ્રત્યેની લાગણી અને પર્યાવરણનું સંરક્ષણ, આ અભિયાનની સૌથી મોટી વિશેષતા તેની ભાવનાત્મક સંવેદના છે.

આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય વન દિવસના અવસરે સૌને શુભેચ્છાઓ પાઠવતા નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તાએ જણાવ્યુ કે, વર્ષ ૨૦૨૪ માં સોનગઢ તાલુકાના રાણીઆંબા ગામે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ એક સાથે એક સ્થળે વહીવટી તંત્ર, અધિકારીઓ, પદાધિકારીઓ, ખેડૂતો, મહિલાઓ, બાળકો સહિત ૭૦૦૦ થી વધુ વૃક્ષારોપણ કરાયું હતું. તત્કાલિક ગૃહરાજ્ય મંત્રી અને હાલના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી અને હાલના રમતગમત રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત આ ઘટનાના ઐતિહાસિક સાક્ષી બન્યા હતા, અને તાપી જિલ્લાએ સમગ્ર રાજ્ય માટે ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યુ હતુ.

વર્ષ ૨૦૨૫ માં ડુંગરગામ ખાતે અંદાજિત ૧૧ હજારથી વધુ અને વર્ષ ૨૦૨૫ ના રોજ સાદડુન ગામે ૫ હજાર જેટલા વૃક્ષો વાવીને તાપી જિલ્લાના નાગરિકોએ તંત્રની સાથે જનભાગીદારીનું ઉત્તમ પ્રસ્તુત કર્યુ હતુ. સોનગઢ તાલુકાથી શરૂ થયેલા ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ તાપી જિલ્લામાં અત્યાર સુધી અંદાજે ૫૦ લાખથી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં આ આંકડો ૧૧ કરોડ સુધી પહોંચ્યો છે. તેમ પણ તેમણે ઉમેર્યુ હતુ. વધુમાં તેમણે વનોનું સંવર્ધન, સંરક્ષણ અને વિકાસમાં આ પહેલમાં જોડાવવા અનુરોધ કર્યો હતો.

નોંધનીય છે કે, મેરી લાઈફ પોર્ટલ ભારત સરકારની એક મહત્વપૂર્ણ પહેલ છે, જે પર્યાવરણ માટે જવાબદાર જીવનશૈલી અપનાવવા લોકોને પ્રેરિત કરે છે. એક પેડ મા કે નામ પહેલ હેઠળ વૃક્ષ વાવવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની હાકલને તાપી જિલ્લાના વન વિભાગ અને સ્થાનિક આદિવાસી સમાજે લોકચળવળમાં પરિવર્તિત કરી છે. લોકો પોતાની માતા પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા વૃક્ષારોપણ કરે છે અને તેના જતનની જવાબદારી પણ સ્વીકારે છે.

ફાઈલ તસવીર

 

હાલના રાજ્યના નાયબ ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં આકાર પામેલું આ મોડેલ આજે રાજ્યભર પ્રેરક ઉદાહર પ્રસ્તુત કર્યુ છે. એક જ દિવસે, એકસાથે મોટા પાયે થતું વૃક્ષારોપણ અને તેમાં સ્થાનિકોની સક્રિય ભાગીદારી એ ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટેનું સચોટ શસ્ત્ર સાબિત થઈ રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય વન દિવસ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર તાપી, જિલ્લાના નાગરિકોને અપીલ કરે છે કે, આજે દરેક વ્યક્તિ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીને પ્રકૃતિ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવે… રાણીઆંબાથી શરૂ થયેલી આ હરિયાળી યાત્રા ડુંગરગામ અને સાદડુન થઈને સમગ્ર જિલ્લાને હરિયાળો બનાવવા તરફ અગ્રેસર છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *