સોનગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં રૂ. ૭.૧૨ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરતાં રાજ્યમંત્રી ડૉ. ગામીત
નાગરિકોનો સર્વાંગી વિકાસ અને તેમની સુવિધામાં વધારો કરવાનો સરકારનો નિર્ધાર છે – રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૩૧. :- રાજ્યના રમત-ગમત મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે બુધવારે સોનગઢ તાલુકામાં ગ્રામીણ કનેક્ટિવિટી અને માળખાગત સુવિધાઓને વેગ આપવા માટે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના કુલ રૂ. ૭.૧૨ કરોડના વિવિધ વિકાસ કામોનું વિધિવત ખાતમુહૂર્ત કર્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી ડો. ગામીતે જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તારોનો સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુવિધામાં વધારો કરવાનો સરકારનો નિર્ધાર છે. પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર લોકકલ્યાણના અભિગમ સાથે સતત પરિણામલક્ષી કામગીરી કરી રહી છે.
મંત્રીશ્રીએ કુલ ૧૩.૧૩ કિ.મી. લંબાઈના રસ્તાઓનું ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં રૂ. ૧.૮૦ કરોડના ખર્ચે રૂપવાડા ખાંજર રોડ, રૂ. ૧.૨૨ કરોડના ખર્ચે મોવાણ થી મહુડી રોડ અને રૂ. ૮૦ લાખના ખર્ચે હિરાવાડી આમલીથી ડુંગરી ફળીયા રસ્તાનો સમાવેશ થાય છે.
ઉપરાંત, રૂ. ૫૫ લાખના ખર્ચે ટીચકીયા રેસ્ટ હાઉસ રોડ, રૂ. ૬૦ લાખના ખર્ચે ગાળકુવા પટેલ ફળીયા રોડ, રૂ. ૭૦ લાખના ખર્ચે સોનગઢ બરડીપાડાથી રાણીઆંબા રોડ અને રૂ. ૫૦ લાખના ખર્ચે ખોખસા ડેરીથી અન્ટીલ મોટા ખોખસા રોડનું પણ મંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું.
માર્ગોની સાથે શિક્ષણ ક્ષેત્રે પણ મહત્વની સુવિધા ઊભી કરતાં મંત્રીશ્રીએ રૂ. ૯૫ લાખના ખર્ચે આકાર પામનાર આંબા પ્રાથમિક શાળાના નવા ભવનનું ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં પાંચ ઓરડાઓનો સમાવેશ થશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલિમસિંહ વસાવા, જિલ્લા અગ્રણી શ્રી સુરજભાઈ વસાવા સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
