પ્રાકૃતિક કૃષિમાં ખાતર ઉપરાંત પાક સંરક્ષણ માટેની દવાઓ પણ ઘરે બનાવો

Contact News Publisher

આવો જાણીએ પાક રોગ નિયંત્રણ માટેની પ્રાકૃતિક જંતુ રોધક દવાઓ વિશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૩૦ મે. જમીનની ફળદ્રુપતા વધારવાના પ્રયત્નો રૂપે રાજ્યભરમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિની મુહિમ ચાલી રહી છે. આપણે જાણીએ છીએ તેમ પ્રાકૃતિક કૃષિમાં ઉપયોગમાં ઉપયોગમાં લેવાતી સાધ સામગ્રી બહારથી ન લાવતા ઘરે જ તૈયાર કરી તેનો ઉપયોગ કરવામાં આવે છે. ફક્ત દેશી ગાયના છાણ-મૂત્ર દ્વારા બનાવેલ જીવામૃત, બીજામૃત અને ઘનજીવામૃતનો ઉપયોગ કરીને જમીનને ફળદ્રુપતાને વધારવી એ પ્રાકૃતિક કૃષિનો ધ્યેય છે. જે રીતે ઉપરોક્ત ખાતર ઘરે બનાવવામાં આવે છે તે રીતે રોગ નિયંત્રણ માટેની પ્રાકૃતિક જંતુ રોધક દવાઓ પણ ઘરે બનાવી શકાય છે. આજે જાણીએ આ દવાઓ કઈ છે અને તેને ઘરે કઈ રીતે બનાવી શકાય.

નીમાસ્ત્ર

ચૂસીયા પ્રકારની જીવાતો અને નાની ઇયળોના નિયંત્રણ માટે 

200 લીટર પાણી + 10 લીટર દેશી ગાયનું ગૌમુત્ર + 2 કીગ્રા દેશી ગાયનું છાણ + 10 કીગ્રા કડવા લીમડાનાં નાના પાંદડા, કુમળી ડાળીઓ અને 20 થી 30 કિલો લીંબોડી ખાંડીને નાખવી. આ મિશ્રણને કોથળાથી ઢાંકી 48 કલાક છાયામાં રાખવું. સવાર-સાંજ 1-1 મિનિટ માટે ઘડિયાળનાં કાંટાની દિશામાં હલાવવું પછી કપડાંથી ગાળીને સંગ્રહ કરવો. છંટકાવ પ્રતિ એકર 200 લીટર ફક્ત નીમાસ્ત્ર નાખવું. પાણી ભેળવવાનું નથી. નીમાસ્ત્ર ને 6 મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય.

અગ્નિઅસ્ત્ર

ઈયળો, કીટકો તથા અમુક પ્રકારની ફુગ તથા ઉધઈ માટે 

20 લીટર દેશી ગાયનું ગૌમુત્ર + 2 કીગ્રા કડવા લીમડાનાં પાનની ચટણી + 500 ગ્રામ તીખા મરચાંની ચટણી 250 ગ્રામ દેશી લસણની ચટણી + 500 ગ્રામ તમાકુનો પાવડર આ મિશ્રણને ઢાંકી ધીમા તાપે એક ઉભરો (ઉફાણો) આવે ત્યાં સુધી ગરમ કરી પછી ઠંડુ પડવા દેવું. ત્યારબાદ 2 દિવસ સુધી સવાર-સાંજ,1 -1 મિનિટ માટે ઘડીયાળનાં કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને સંગ્રહ કરવો. અગ્નિઅસ્ત્ર પ્રતિ એકર 100 થી 200 લીટર પાણી + 6 થી 8 લીટર છાંટવું. અગ્નિઅસ્ત્રને 3 મહીના સુધી ઉપયોગમાં લઈ શકાય છે.

બ્રહ્માસ્ત્ર

કીટકો,મોટી જીવાતો અને ઈયળો માટે 

20 લીટર દેશી ગાયનું ગૌમુત્ર + 2 કીગ્રા કડવા લીમડાના પાનની ચટણી + 2 કીગ્રા કરંજના પાનની ચટણી + 2 કીગ્રા સીતાફળના પાનની ચટણી + 2 કીગ્રા એરંડાના પાનની ચટણી + 2 કીગ્રા ધતુરાના પાનની ચટણી + 2 કિલો બીલીપત્રના પાનની ચટણી આ પૈકી કોઈ પણ પાંચ જાતની ચટણી લઈ. આ મિશ્રણને ઢાંકી ધીમા તાપે એક ઉભરો (ઉફાણો) આવે ત્યા સુધી ગરમ કરવું પછી ઠંડુ પડવા દેવું. ત્યારબાદ 2 દિવસ સુધી સવાર-સાંજ 1-1 મિનિટ માટે ઘડીયાળનાં કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને સંગ્રહ કરવો. બ્રહ્માસ્ત્ર 100 થી 200 લીટર પાણી + 6 થી 8 લીટર છાંટવું. બ્રહ્માસ્ત્ર 6 મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય છે.

દશપર્ણી અર્ક

દરેક પ્રકારની ચૂસિયા જીવાતો અને બધા પ્રકારની ઈયળોના નિયંત્રણ માટે

200 લીટર પાણી + 20 લીટર દેશી ગાયનું ગૌમુત્ર + 2 કીગ્રા દેશી ગાયનું છાણ + આ મિશ્રણ લાકડીથી હલાવીને 2 કલાક છાયામાં કોથળાથી ઢાંકવું જેથી જૈવ-રાસાયણીક બંધ તુટી જાય ત્યારબાદ ઉપરોક્ત મિશ્રણ + 500 ગ્રામ હળદરનો પાવડર + 500 ગ્રામ આદુની ચટણી + 10 ગ્રામ હીંગનો પાવડર. આ મિશ્રણ હલાવીને આખી રાત કોથળાથી ઢાંકવું. દશપર્ણી અર્કને 6 મહિના સુધી સંગ્રહિત કરી શકાય છે. તેને 200 લિટર પાણીને નાખીને છંટકાવ કરવો. જેમા 5-6 લીટર દશપર્ણી અર્ક નાખવુ.

ફૂગનાશક દવા

100 લીટર પાણી અને 3 લીટર ખાટી છશને ભેળવીને તેનો છંટકાવ કરવાથી જીવાતો સામે પાકને રક્ષણ આપવામાં મદદ મળે છે.

આમ તમામ પ્રકારની પાક સંરક્ષણ માટેની દવાઓ આપણા ઘરે બનવી શકાય છે.

0000

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *