વ્યારા નગરપાલિકાના શ્રી રામ તળાવ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૫ની ઉજવણીના કાઉન્ટ ડાઉનના ભાગરૂપેયોગ પ્રોટોકોલ શિબિર યોજાયો

શ્રી રામ તળાવ ખાતે ૫૦૦થી વધુ યોગરસિકો ઉત્સાહભેર યોગ શિબિમાં જોડાયા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૯ મે. તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા સ્થિત શ્રી રામ તળાવ ખાતે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૫ ની ઉજવણીના ભાગરૂપે કાઉન્ટ ડાઉન યોગ શિબિર તથા સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત તા.૨૯મી મે ના રોજ યોગ શિબિર યોજાયો હતો.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા તાપી જિલ્લા પ્રશાસનના સહયોગથી યોજાયેલી આ યોગ શિબિરમાં જિલ્લાના ૫૦૦થી વધુ યોગ રસિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ યોગ શિબિરમાં તાપી જિલ્લાના ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી ખાસ હાજર રહ્યા હતા અને યોગપ્રેમીઓમાં ઉમંગ ઉત્સાહ ભર્યો હતો. કાર્યક્રમમાં સાઉથ ઝોન યોગ બોર્ડની કોઓર્ડિનેટર શ્રીમતી પ્રીતિબેન પાંડે એ યોગ શિબિરનું સંચાલન કરતા યોગપ્રેમીઓને યોગ ક્રિયાઓ તથા પ્રાણાયામનું પ્રોટોકોલ મુજબ માર્ગદર્શન આપ્યું હતું.
શિબિરમાં પ્રથમ તબક્કે IDY યોગ પ્રોટોકોલનું તાલીમ સત્ર યોજાયું હતું અને ત્યારબાદ મેદસ્વિતા મુક્તિ માટે વિશેષ આસન, પ્રાણાયામ તથા ઉપાય અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના સફળ આયોજનમાં જિલ્લા યોગ કોઓર્ડિનેટરશ્રી શ્રીમતી જ્યોતિબેન મહાલે, ક્લાસ ઇન્સ્પેક્શન કોઓર્ડિનેટર શ્રી નવનીતભાઈ શેલડીયા, તથા વ્યારા તાલુકાની યોગ ટીમે ખાસ મહેનત કરી હતી.
આ યોગ શિબિરમાં વ્યારા પ્રાંત અધિકારી સંદીપ ગાયકવાડ, જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતા ગામિત સહિત નગરના યોગપ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.