પાલેજ મુકામે હિઝ હોલીનેસ ખ્વાજા સૈયદ ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી સાહેબનો ઉર્સ ઉજવાયો
૨૭ માં રોજાનાં દિવસે ઇફતારીનું ખૂબ સુંદર આયોજન કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી પર વર્ષ ૧૯૫૭ થી ૨૦૦૧ સુધીનાં દીર્ઘકાલ દરમિયાન એકમાત્ર અધિકૃત પરંપરાગત સજ્જાદાનશીન- ગાદીપતિ તરીકે સેવા આપનાર મહાન સંત હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી (રહ.) નો વાર્ષિક ઉર્સ દર વર્ષે પાલેજ મુકામે ૨૭ મી રમઝાનનાં પવિત્ર દિવસે ઉજવવામાં આવે છે અને ઇફતારીનું આયોજન કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે. હિઝ હોલીનેસ ખ્વાજા સૈયદ મોટામિયાં ચિશ્તી ત્રીજા (રહ.) પછી હિઝ હોલીનેસ ખ્વાજા સૈયદ નિઝામુદ્દીન મોટામિયાં ચિશ્તી ગાદી પર આવ્યા, ત્યારબાદ વંશ પરંપરાગત વિશેષ પરંપરા મુજબ વર્ષ ૧૯૫૭માં હિઝ હોલીનેસ ખ્વાજા સૈયદ ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી (રહ.) સૌની વિશેષ હાજરીમાં વિધિવત્ રીતે પરંપરાગત ગાદીપતિ બન્યા. આપે સાદગીભર્યું સમગ્ર જીવન નિરાધરોની સેવામાં પસાર કરી, ગાદીનાં માનવીય સિદ્ધાંતો, ઘેર ઘેર ગાય પાળો, માનવતા અને એકતાનો સંદેશ દેશ સહિત વિદેશમાં પહોંચાડ્યો, આપે ખૂબ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય વિવિધ ભાષા ઉપર અનોખું પ્રભુત્વ ધરાવતાં હતાં. આપનાં પુત્ર – જાનશીન અને મોટામિયાં માંગરોલની ગાદીનાં વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી અને તેઓનાં સુપુત્ર ઉતરાધિકારી ડૉ. મતાઉદ્દીન ચિશ્તી દ્વારા ડૉ. મતાઉદ્દીન ચિશ્તીનાં પુત્ર નિઝામુદ્દીન ચિશ્તી તથા બદરુદ્દીન ચિશ્તી દ્વારા પાલેજ દરગાહ ખાતે સંદલ શરીફ અને ફુલ ચાદર અર્પણ કરવામાં આવી હતી. દેશમાં ભાઈચારો, શાંતિ કોમી એકતા બની રહે તે માટે વિશેષ દુઆ- પ્રાર્થનાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ડો. મતાઉદ્દીન ચિશ્તીએ જણાવેલ કે હિઝ હોલીનેસ ખ્વાજા સૈયદ ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી (રહ.)નું જીવન અને સિદ્ધાંતો સૌ માટે પ્રેરણાનાં સ્ત્રોત સમાન છે. તેમણે શિક્ષણ અને અધ્યાત્મનાં સંદેશથી લાખો લોકોનાં જીવનને દિશા પૂરી પાડી. ઉર્સ અને ઇફતારીમાં વિશાળ સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ ભાઈઓ તથા બહેનોએ સહભાગી થઇ કોમી એકતાનું વિશેષ ઉદાહરણ પૂરું પાડયું હતું.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
