સેવા સત્ર પખવાડિયા અંતર્ગત ડીજીવીસીએલ વ્યારા વિભાગીય કચેરી દ્વારા વ્યારા નગરમાં ભવ્ય રેલી યોજાઇ
વીજળી બચત, સેફટી અવેરનેસ અને પીએમ સૂર્યઘર-કુસુમ યોજનાઓ અંગે લોકને જાગૃત કરાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સરકારશ્રીના નિર્દેશ અનુસાર તા. 17.09.2025 થી તા. 02.10.2025 સુધી “સેવા સત્ર” એટલે કે સેવા પખવાડિયા અંતર્ગત ડીજીવીસીએલ વ્યારા વિભાગીય કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ત્યારે ગત રોજ વ્યારા વિભાગીય કચેરીના કર્મચારીઓ દ્વારા વ્યારા સયાજી મેદાન થી ઝંડા ચોક સુધી ભવ્ય રેલી યોજાઈ હતી.
રેલીમાં લોકોમાં વીજળી બચત, સેફટી અવેરનેસ, પીએમ સૂર્યઘર તથા પીએમ કુસુમ યોજનાઓ અંગેની માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને પીએમ સૂર્યઘર યોજના હેઠળ એક કિલોવોટ પર ₹30,000, બે કિલોવોટ પર ₹60,000 તથા ત્રણ કિલોવોટ કે તેથી વધુ પર ₹78,000 સુધીની સબસિડી ઉપલબ્ધ છે તેવી માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે આ યોજનાઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અંગે પણ લોકજાગૃતિ લાવવામાં આવી હતી.
રેલી દરમિયાન પોલીસ વિભાગ દ્વારા જરૂરી પેટ્રોલિંગ અને સુરક્ષાની વ્યવસ્થા ડીવાયએસપી શ્રી નરવડેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. આ સાથે કાર્યપાલક ઈજનેર શ્રી બી.પી. ગોહિલ દ્વારા કર્મચારીઓને ઓફિસમાં સ્વચ્છતા જાળવવા, ગ્રાહક પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવા અને ગ્રાહક-અનુકૂળ વાતાવરણ ઉભું કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગ્રાહકોને વધુ સારી સુવિધા મળી રહે તે માટે કસ્ટમર કેર સેન્ટર (CCC) તથા વ્યારા વિભાગીય કચેરી ખાતે નવા શરૂ કરાયેલા કમાન્ડ, મોનિટરિંગ એન્ડ કંટ્રોલ સેન્ટર (CMC) વિશે માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત વ્યારા વિભાગીય કચેરી હેઠળની તમામ પેટા કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. સાથે સાથે ચોમાસા દરમ્યાન વીજ પોલ પર ચડી ગયેલી વેલા દૂર કરવાની કામગીરી પણ હાથ ધરાઇ રહી છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
