નમો કે નામ રક્તદાન: તારીખ 16 સપ્ટેમ્બરનાં રોજ સુરત જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓનો સમય સવારનો રહેશે
ગુજરાત રાજ્ય પ્રાથમિક સંઘની માંગણીને શિક્ષણ નિયામકે ગ્રાહ્ય રાખી તા.16 સપ્ટેમ્બરનાં રોજ શાળાનો સમય સવારનો રાખવા અંગે પત્ર જારી કર્યો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : વડાપધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસને અનુલક્ષીને રાજ્યનાં તમામ કર્મચારી મંડળો દ્વારા આગામી તા.16 સપ્ટેમ્બરનાં રોજ વિવિધ સ્થળોએ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે રાજ્યનાં શિક્ષકો પણ આ સેવાકાર્યમાં જોડાઈ શકે તે હેતુસર રાજ્યભરની પ્રાથમિક શાળાઓનો સમય સવારનો રાખવાનો આદેશ પ્રાથમિક શિક્ષણ નિયામક, ગાંધીનગર દ્વારા કરવામાં આવેલ છે.
16 મી સપ્ટેમ્બરનાં મહા રક્તદાન કાર્યક્રમ સંદર્ભે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંધનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી જૈમિન પટેલ દ્વારા રાજ્યનાં શિક્ષણમંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર તેમજ પ્રફુલભાઇ પાનશેરિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ગ્રાહ્ય રાખતા રાજ્યનાં શિક્ષણમંત્રી ડૉ.કુબેરભાઈ ડિડોર દ્વારા અપાયેલી મંજૂરીનાં પગલે આગામી તા. 16 સપ્ટેમ્બરનાં રોજ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓનો સમય સવારે 8:00 થી 11:00 કલાક સુધીનો કરવાની સૂચના નિયામક દ્વારા આપવામાં આવેલ છે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ એવાં કિરીટભાઈ પટેલ તથા મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસની પૂર્વ સંધ્યાએ સમગ્ર રાજ્યમાં 300 થી પણ વધુ સ્થળોએ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. સદર તમામ કેમ્પ મળી અંદાજિત એક લાખ જેટલાં શિક્ષક ભાઈ-બહેનો સહિત અન્ય કર્મચારીઓ રક્તદાન કરી નવો રેકોર્ડ સર્જી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેમનાં જન્મદિવસની શુભેચ્છા પાઠવશે.
રિપોર્ટ: વિજય પટેલ
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

