સુરતના માંડવી તાલુકાના બલાલતીર્થ ગ્રામ પંચાયતના મકાનનું ખાતમુહૂર્ત કરતા મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ

વાઈફાઈથી સજ્જ નવા ભવનમાં નાગરિકોને તમામ સુવિધાઓ ઓનલાઈન અપાશે: રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૧. આજે સુરત જિલ્લાના માંડવી તાલુકાના બલાલતીર્થ ખાતે રૂ. ૧૭ લાખના ખર્ચે નિર્માણ પામનાર ગ્રામ પંચાયત કચેરીના મકાનનું ખાતમુહૂર્ત આદિજાતિ વિભાગ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે કરવામાં આવ્યું. મહાનુભાવો દ્વારા ખાતમુહૂર્ત પહેલા અનંતનાગમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે તાપી નદીના કાંઠે અને તાપી જિલ્લાની સરહદે આવેલા આ જૂથ ગ્રામ પંચાયતના નવનીતમ મકાનનું નિર્માણ થતા છેવાડાના વિસ્તારમાં રહેતા લોકોને ઘર બેઠા સુવિધાઓ મળશે. વાઈ-ફાઈ ક્નેક્ટીવીટી, ઈ-ગ્રામ સેવાઓ જેવી પ્રાથમિક સુવિધાઓ ઘર આંગણે મળતા લોકોના વિકાસને વેગ મળશે. અત્યાર સુધી આ ૩ ગામના લોકોને વઢવાણા જવું પડે છે જેની બદલે ગામમાં જ આ બધી સુવિધાઓ મળશે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે વન વિભાગની જમીન હસ્તક એનઓસી લેવાનું હતું જે મળતા આ મકાન બાંધકામને મંજુરી મળી ગઈ છે. હજુ ભવિષ્યમાં આ જ જમીન પર આરોગ્ય સબ સેન્ટર, લાઈબ્રેરી, કોમ્યુનીટી સેન્ટર જેવી સુવિધાઓ ઉમેરવામાં આવશે.
આ પ્રસંગે માંડવી તાલુકા મામલતદાર શ્રી મિસ્ત્રી, પલસાણા ટી.ડી.ઓશ્રી સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દિલીપ ચૌધરી, આર એન્ડ બી, એસ.ઓ શ્રી મનીષ ચૌધરી, શ્રી કુંવરજીભાઈ ચૌધરી, ધનસુખ વસવા, ઘલાભાઈ વસવા, અનીલ ચૌધરી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, સરપંચશ્રીઓ તેમજ ગ્રામજનો જોડાયા હતા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.