જૂના બેજ ગામના વિકાસકામો માટે મોકલેલી દરખાસ્તને તાત્કાલિક મંજૂરી આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતાં મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ

0
IMG-20250407-WA0004
Contact News Publisher

જુના બેજ ગામમાં આજે સોનાનો સુરજ ઉગ્યો છે – મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ

— 

રૂ. ૭૫૯ લાખના હાઈલેવલ બ્રિજ અને રોડના કામોનું ખાતમુહૂર્ત કરતા વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ

રોડ-બ્રિજ, વીજળી સહિત સરકારી યોજના હેઠળ આવરી લેવાતા જુના બેજના ગ્રામજનોની જીવનશૈલીમાં ગુણાત્મક પરિવર્તન આવશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : , તા.07  તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના જૂના બેજ ગામ ખાતે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તક રૂ. ૭૫૯ લાખના ખર્ચે નવનિર્મિત થનારા હાઇલેવલ બ્રિજ અને રોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત વન અને પર્યાવરણ મંત્રીશ્રી તથા તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી મુકેસભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો છેવાડાના ગામના સર્વાંગી વિકાસના સંકલ્પને પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારની કામગીરી નોંધપાત્ર છે. એમ જણાવતા તેઁમણે ઉમેર્યું હતું કે જુનાબેજ ગામમાં આજે સોનાનો સુરજ ઉગ્યો છે.

મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે ઉમેર્યુ હતું કે, તાપી જિલ્લા વહીવટી તંત્રએ પણ પ્રજાસુખાકારી માટે સરાહનીય કામગીરી કરી છે. જિલ્લાના તમામ ગામડાઓની સાથે છેવાડાના અને વર્ષોથી વિકાસથી વંચિત જૂના બેજ ગામને પણ પ્રાથમિક અને માળખાકિય સુવિધાઓ હેઠળ આવરી લેવા માટે તંત્રના અધિકારીઓ સાથે બેઠકો યોજીને ચર્ચા-વિચારણા કરી હતી. જૂના બેજ ગામના 58 કુટુંબોને વીજળી-રસ્તા સહિતની સુવિધાઓ, સરકારની આયુષ્માન યોજના, ઉજ્જવલા યોજના, આધાર કાર્ડ સહિતના પુરાવા માટેના કેમ્પો રાખીને ગામના તમામ કુટુંબોને સુવિધાઓ-યોજના હેઠળ આવરી લેવાની કામગીરી કરાઈ છે.

મંત્રીશ્રી મુકેશભાઈ પટેલએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, બે વર્ષ પહેલા આ ગામની મુલાકાત લઈ નાગરિકોના પ્રશ્નો સાંભળી મુખ્યમંત્રી સમક્ષ નિરાકણ માટે જૂનાબેજ ગામના વિકાસકામોની દરખાસ્તને મુકવાવામાં આવી હતી. જેને તાત્કાલિક મંજૂર કરવામાં આવી હતી, આ વિકાસકામો ગામવાસીઓ માટે નવાં અવસરો સર્જશે. ગામના દીકરા-દીકરીને સ્કુલે નાવડી મારફતે જવુ પડતું હતુ, ચોમાસા દરમિયાન કોઈ અકસ્માત ન સર્જાય તેને ધ્યાને રાખીને કામો મંજૂર કરાયા છે, ગ્રામજનોને સુવિધાઓનો લાભ મળે તે માટે તમામ કામો વહેલી તકે પૂર્ણ થાય તે માટે મંત્રીશ્રી પટેલે તંત્રને સૂચનો કર્યા હતા.

તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપિન ગર્ગે જણાવ્યું કે, તાપી જિલ્લાના છેવાડાના ગામો સુધી વિકાસ પહોંચાડવા માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ છેવાડાના ગામ સુધી સરકારની યોજનાઓ અને સુવિધા પહોંચાડવા માટેની રાજ્ય સરકાર-ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને તંત્રની કામગીરીની પ્રશંસા કરી હતી. જૂના બેજ ગામમાં પ્રાથમિક અને માળખાકિય સુવિધા પહોંચી રહે તે માટે કલેક્ટરશ્રીએ તંત્રની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

આ વેળાએ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઇ પટેલે કલેકટરશ્રી તેમજ પદાધિકારીઓએ સાથે નાવડીમાં બેસી બેજગામની મુલાકાત લઇ ગામવાસીઓ સમક્ષ યોજનાકીય બાબતે પૃચ્છા કરી હતી.

નોંધનીય છે કે, રોડ-બ્રિજ, વીજળી સહિત સરકારી યોજના હેઠળ આવરી લેવાતા ગ્રામજનોની જીવનશૈલીમાં ગુણાત્મક પરિવર્તન આવશે. ગામની મૂળભૂત સમસ્યાઓને કેન્દ્રસ્થાને લઈને જુનાબેજ ગામમાં કુલ ૫૮ કુટુંબોને વીજળીની સુવિધા, ગામ સુધી પહોંચવા માટે માર્ગ-પુલની વ્યવસ્થા સહિત સરકારની આયુષ્યમાન કાર્ડ અને ગેસ કનેક્શન જેવી સુવિધાઓ તેમજ પુરાવાઓ માટેના તંત્ર દ્વારા વિવિધ કેમ્પો યોજાયા હતા. જેમાં ૮૧ આયુષ્યમાન કાર્ડ, ૧૯ કુટુંબોને ગેસ કનેક્શન, ૫૦ આભા આઈડી, ૧૩૪ બિનચેપી આરોગ્ય તપાસ અને આધારકાર્ડની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

વિજળી માટે DGVCL દ્વારા ૪.૨ કિમીની HT લાઇન નાખવાની થાય છે. જે પૈકી ૩.૨ કિમી લાઇન માટે ૧૦૫ પોલ ઉભા કરાઈ ચૂક્યા છે. પુલની કામગીરી પૂર્ણ થયા બાદ કેબલ લાઇન મારફતે ગામમાં વીજળી પહોંચાડવામાં આવશે. કુકરમુંડાથી જુનાબેજ સુધી ૩.૯૨ કિ.મી. લંબાઈનો રૂ. ૨.૬૦ કરોડના ખર્ચે રોડ મંજુર કરાયો છે. હાલમાં ૨.૯૫૦ કિ.મી.ની કામગીરી પ્રગતિ હેઠળ છે. ગામને જોડવા માટે રૂ. ૪.૭૬ કરોડના ખર્ચે ૧૨૦ મીટર લાંબો અને ૫.૫ મીટર પહોળો મેજર બ્રિજ મંજુર કરવામાં આવ્યો છે. પુલ અને રસ્તો પૂર્ણ થયા બાદ ગામમાં હોડીને બદલે સીધા માર્ગે તાલુકા અને જિલ્લામાં જોડાઈ શકશે. લોકો માટે શિક્ષણ, આરોગ્ય સેવા (૧૦૮ એમ્બ્યુલન્સ), ખેતીવાડી તેમજ સામાજિક અવરજવર વધુ સરળ બનશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ એન વસાવા, ધારાસભ્ય ડૉ. જયરામભાઈ ગામીત, ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકની, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઈ વસાવા, આરોગ્ય સમિતિના ચેરમેન વર્ષાબેન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલીયા, નિઝર પ્રાંત અધિકારી ઓમકાર સિંદે, જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અધિકારી, સંબંધિત વિભાગના અધિકારી કર્મચારી, સંગઠનના હોદ્દેદારો, સંરપચશ્રી, અગ્રણીઓ, અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

000

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *