181 અભયમ ટીમે સુરતના નાના વરાછામાં તૂટતું દાંપત્ય જીવન બચાવ્યું
181
પતિના પરસ્ત્રી સંબંધ મુદ્દે કાઉન્સિલિંગથી સમાધાન
(કિરીટ રાણા દ્વારા, સુરત) : સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાંથી એક પરિણીતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને મદદ માંગી હતી. મહિલાએ જણાવ્યું હતું કે તેના પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાના કારણે છેલ્લા બે વર્ષથી ઘરેલુ ઝઘડા વધી ગયા હતા અને તેનું લગ્નજીવન મુશ્કેલીમાં મુકાયું હતું.
માહિતી મળતા જ 181 અભયમ સુરત-ઉમરા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ટીમ દ્વારા પતિનું અસરકારક કાઉન્સિલિંગ કરવામાં આવ્યું અને સુખી દાંપત્ય જીવન જીવવા માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાઉન્સિલિંગ દરમિયાન પતિએ પોતાની ભૂલ સ્વીકારી, પત્ની પાસે માફી માંગી અને ભવિષ્યમાં પત્નીને કોઈ પણ પ્રકારની હેરાનગતિ કે ગેરવર્તણૂક નહીં કરવાના તેમજ અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધ નહીં રાખવાના લેખિતમાં વિશ્વાસ આપ્યો હતો. પત્નીએ પણ પરિવાર અને બે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પતિને લગ્નજીવન સુધારવા એક વધુ તક આપી હતી.
મળતી માહિતી મુજબ, દંપતિનું લગ્નજીવન છેલ્લા 11 વર્ષથી ચાલી રહ્યું હતું, પરંતુ છેલ્લા બે વર્ષથી પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધને કારણે વારંવાર વિવાદ સર્જાતા હતા. ટીમ દ્વારા પતિને એક પતિ અને પિતા તરીકે પોતાની જવાબદારીઓ નિભાવવાની કાયદાકીય સમજ પણ આપવામાં આવી હતી.
181 અભયમ ટીમના અસરકારક કાઉન્સિલિંગ અને સમયસરના હસ્તક્ષેપથી એક તૂટતા પરિવારને બચાવવામાં સફળતા મળી હતી. પરિણીતાએ અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
