ઉકાઈ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને GSECL થર્મલ પાવર સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાની યોગ શિબિર યોજાઈ
“સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 01 :- ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવી રહેલા “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત ઉકાઈ GSECL ઉર્જાનગર કોલોની ખાતે યોજાયેલી તાલુકાકક્ષાની યોગ શિબિર ઝોન કો-ઓર્ડિનેટર શ્રીમતી પ્રીતિબેન પાંડે ઉકાઈ સંકુલના એડિશનલ ચીફ એન્જિનિયરશ્રી આર.સી. પટેલના અધ્યક્ષતામાં યોજાઈ હતી.
આ પ્રસંગે ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓ સર્વશ્રી ડી.આર. ચૌધરી, બી.જી. ચૌધરી, જી.સી. પટેલ તથા ડી.જી.એમ. શ્રી પી.જી. પરમારનું યોગ પુસ્તિકા અર્પણ કરી સન્માનપૂર્વક સ્વાગત કરાયુ હતું. શિબિરને સંબોધતા મુખ્ય અતિથિશ્રી આર.સી. પટેલે દૈનિક જીવનમાં યોગના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, નિયમિત યોગાભ્યાસથી શારીરિક અને માનસિક આરોગ્યમાં નોંધપાત્ર સુધારો થાય છે.
આ તબક્કે તાપી જિલ્લા કો-ઓર્ડિનેટર શ્રીમતી જ્યોતિબેન મહાલે દ્વારા આધુનિક જીવનશૈલીના રોગો જેવા કે ઘૂંટણ અને કમરનો દુખાવો તેમજ ડાયાબિટીસમાં યોગ કેવી રીતે અસરકારક સાબિત થાય છે, તેનું વિવિધ આસનો, પ્રાણાયામ અને એક્યુપ્રેશર પદ્ધતિઓ દ્વારા જીવંત નિદર્શન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ શિબિરમાં કોલોનીના રહેવાસીઓ તેમજ GSECLના કર્મચારીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉકાઈના યોગ કોચ શ્રીમતી શિખાબેન શાહ, સોનગઢ તાલુકા કોચ શ્રીમતી સ્મિતાબેન શેઠ અને તેમની ટીમે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સુચારુ આયોજન કર્યુ હતુ. આ ઉપરાંત ક્લબના કારોબારી સભ્યો સર્વશ્રી રાજુભાઈ યાદવ, એમ.એમ. પારગી, જીગ્નેશ કંથારિયા અને અમિત ગામિત દ્વારા વ્યવસ્થાપનની સુંદર કામગીરી કરવામાં આવી હતી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
