માં દેવમોગરા સરકારી વિનયન કોલેજ, ઉચ્છલ ખાતે 13મો વાર્ષિકોત્સવ અને ‘પ્રતિભા પર્વ–2026’ ની ભવ્ય ઉજવણી
રાજ્ય મંત્રીશ્રી ડૉ.જયરામભાઈ ગામીતે વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસ અને મેરિટ આધારિત સફળતા માટે પ્રેરિત કર્યા
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : 02. ઉચ્છલ તાલુકાની માં દેવમોગરા સરકારી વિનયન કોલેજ ખાતે 13મો વાર્ષિકોત્સવ, ‘પ્રતિભા પર્વ–2026’ તથા પારિતોષિક સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે કોલેજનું અંતિમ વર્ષ જીવનમાં મહત્વપૂર્ણ ટર્નિંગ પોઇન્ટ સમાન છે. આ સમયગાળો જીવનની દિશા અને લક્ષ્યાંક નક્કી કરવા માટે અત્યંત મહત્વનો છે. તેમણે વિવિધ ફેકલ્ટી અને વ્યાવસાયિક કોર્ષો દ્વારા કૌશલ્ય વિકાસ પર ભાર મૂકતા કહ્યું કે આજના સ્પર્ધાત્મક યુગમાં જ્ઞાન, મહેનત અને લગનથી જ સ્થાયી સફળતા પ્રાપ્ત કરી શકાય છે.
તેમણે સરકાર દ્વારા અમલમાં મૂકાયેલ ફ્રીશીપ કાર્ડ જેવી વિદ્યાર્થીહિત યોજનાઓનો લાભ લઈ ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરવાની પ્રેરણા આપતાં જણાવ્યું હતું કે આજનો સમય મેરિટ અને નોલેજનો છે. યોગ્ય માર્ગદર્શન અને સકારાત્મક દૃષ્ટિકોણથી વિદ્યાર્થીઓ પોતાના સપનાઓને સાકાર કરી શકે છે.
આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કલ્યાણી આર. ભટ્ટના વયનિવૃત્તિ નિમિત્તે તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. મંત્રીશ્રીએ તેમને શાલ ઓઢાડી અને માં દેવમોગરાનું સ્મૃતિચિહ્ન અર્પણ કરી કોલેજ માટે આપેલા અમૂલ્ય યોગદાન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક, સહ-પાઠ્યક્રમિક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પારિતોષિકો એનાયત કરવામાં આવ્યા હતા.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિહ વસાવા, જિલ્લાના અગ્રણી સુરજભાઈ વસવા,વિવિધ કોલેજોના પ્રિન્સિપાલશ્રીઓ, પ્રાધ્યાપકો, જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ,આગેવાનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
