કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ખાતે કિસાન સન્માન દિવસની ઉજવણી કરવામાં આવી
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વઘઇ ખાતે તા.૨૩/૧૨/૨૦૨૫ ના રોજ કિસાન સન્માન દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોના યોગદાનને સન્માન આપવાનો તથા સરકારશ્રીની વિવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર કરવાનો હતો.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી શ્રી ચંદરભાઈ ગાવિતે “વિકસિત ભારત – જી રામ જી બીલ-૨૦૨૫” અંગે બહોળી માહિતી આપતાં જણાવ્યું હતું કે આ બીલ શ્રમયોગીઓ માટે ૧૦૦ થી લઈ ૧૨૫ દિવસની રોજગારી પુરી પાડવાનો છે. કિસાન સન્માન દિવસ નિમિત્તે શ્રી કે. વી. પટેલ, સંયુક્ત ખેતી નિયામક, સુરત દ્વારા ખેડૂતોને મિલેટ્સની પરંપરાગત જાતો તથા મિલેટ્સના મૂલ્યવર્ધન ઉપર ભાર આપીને ડાંગ જિલ્લાના ખેડૂતો રાજ્ય સ્તરે પ્રગતિ કરે તેવી હાંકલ કરી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. જે. બી. ડોબરીયાએ જી રામ જી બીલ-૨૦૨૫ ની યોજના વિશે ખેડૂતોને સમજાય તેવી સરળ ભાષામાં છણાવટ કરી હતી. કિસાન સન્માન દિવસ નિમિત્તે ડાંગ જિલ્લાના કુલ-૭ પ્રગતિશિલ ખેડૂત ભાઈઓ/મહિલાઓને સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વ્યાખ્યાન, ટીવી-ફીલ્મ શો, પ્રદર્શન, ફાર્મ વિઝીટ તથા માન. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીશ્રીનું વક્તવ્ય ઓનલાઈન પ્રસારણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ વઘઈ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ચંદરભાઈ ગાવિતના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શ્રી કે. વી. પટેલ, સંયુક્ત ખેતી નિયામક, સુરત; ડૉ. અજય પટેલ, આચાર્યશ્રી, કૃષિ મહાવિદ્યાલય, ન.કૃ.યુ., વઘઇ; શ્રી સંજય ભગરીયા, પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા, આહવા, જિ.ડાંગ, શ્રી તુષારભાઈ ગામીત, નાયબ બાગાયત નિયામકશ્રી, આહવા-ડાંગ ખાસ મહેમાન તરીકે શોભાયમાન થયા હતા.
આ કાર્યક્રમની સફળતામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો તથા ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડના સભ્યોએ બહોળો ફાળો આપ્યો હતો. આ કાર્યક્રમમાં કુલ ૨૦૦ થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
