“પીએમ ધન ધાન્ય કૃષિ યોજના” અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કે.વી.કે., વઘઈ દ્વારા કરવામાં આવ્યું
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી. ડૉ. ઝેડ. પી. પટેલ સાહેબ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. હેમંત શર્મા અને કે.વી.કે., વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડૉ. જે. બી. ડોબરીયા સાહેબના માર્ગદર્શન હેઠળ કે.વી.કે.,વઘઈ(ડાંગ) દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ખાતે તા. ૧૧/૧૦/૨૦૨૫ ના રોજ “પીએમ ધન ધાન્ય કૃષિ યોજના” અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શ્રી ચંદરભાઈ ગાવિત, પ્રમુખશ્રી તાલુકા પંચાયત વઘઈ(ડાંગ) તેમજ શ્રી પંકજભાઈ પટેલ, તાલુકા સદસ્ય પ્રતિનિધિ મંડળ આ કાર્યક્રમ અંતર્ગત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના અંતર્ગત વિશેષ માહિતી આપી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. સદર કાર્યક્રમમાં શિયાળુ ઋતુમાં ખેતી કાર્યનું આયોજન, પ્રદેશ આધારિત કૃષિ તાંત્રિકતા, કઠોળ પાકોને પ્રોત્સાહન, પ્રાકૃતિક ખેતી પધ્ધતિ અને પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના તેમજ GST બચત ઉત્સવ વિષય પર ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તે હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈના તમામ વૈજ્ઞાનિકોએ અત્યંત જરૂરી માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ખેડૂતોએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વિવિધ કૃષિ પરિયોજનાઓનું ઉદ્ઘાટન રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન પરિસર, પૂસા, નવી દિલ્હી થી લાઈવ ટેલીકાસ્ટ ના માધ્યમથી નિહાળ્યું હતું. સદર કાર્યક્રમમાં ૪૫૦ થી પણ વધારે જેટલા પુરુષ તથા મહિલા ખેડૂતોએ હાજરી નોંધાવી હતી. તથા તેમના પ્રતિભાવો આપ્યા હતા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
