વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગનાં, એમ.એસ.ડબલ્યુ. પ્રોગ્રામમાં એચ.આઈ.વી./એઇડ્સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કે.એન. ચાવડાની પ્રેરણાથી તથા રજીસ્ટ્રારશ્રી ડૉ. રમેશદાન ગઢવી અને સમાજશાસ્ત્ર વિભાગના વડાશ્રી ડૉ. એમ.એન. ગાયકવાડના માર્ગદર્શન હેઠળ સમાજશાસ્ત્ર વિભાગ અંતર્ગત ચાલતા એમ.એસ.ડબલ્યુ. પ્રોગ્રામ દ્વારા રેડ રિબન ક્લબ હેઠળ તા. ૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ “એચ.આઈ.વી./એઇડ્સ, એસ.ટી.આઈ. રોગ અને એચ.આઈ.વી.-એઇડ્સ (નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, ૨૦૧૭” વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ જીલ્લા એઇડ્સ કંટ્રોલ યુનિટ અને લોક વિકાસ સંસ્થા, સુરતના સહયોગથી સમાજશાસ્ત્ર વિભાગના સેમિનાર હોલ ખાતે યોજાયો હતો. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે સુરત જીલ્લા એઇડ્સ કંટ્રોલ યુનિટના સુપરવાઇઝર શ્રી યશવંત વળવી અને લોક વિકાસ સંસ્થાના પ્રોજેક્ટ મેનેજર શ્રી હિતેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પોતાના વ્યક્તવ્યમાં એચ.આઈ.વી./એઇડ્સ તથા એસ.ટી.આઈ. રોગોની નિવારણ પદ્ધતિઓ, સાવચેતીનાં ઉપાયો, સમાજમાં આ વિષય સબંધિત પ્રવર્તિત ગેરમાન્યતાઓ અંગે સચોટ માહિતી આપી હતી. સાથે તેઓએ એચ.આઈ.વી./એઇડ્સ રોકવા માટે સરકારશ્રીના પ્રયાસો તથા વર્ષ ૨૦૧૭ના એચ.આઈ.વી./એઇડ્સ (નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ અંગે સૌને માહિતગાર કર્યા હતા. તેમણે ખાસ કરીને ઉલ્લેખ કર્યો હતો કે એચ.આઈ.વી./એઇડ્સ કોઈ સામાજિક કલંક નથી અને યોગ્ય સારવાર અને સારસંભાળ તથા દવાઓ દ્વારા સંક્રમિત વ્યક્તિ પણ સારું અને સ્વસ્થ જીવન જીવી શકે છે. ઉપરાંત તેમણે એચ.આઈ.વી./એઇડ્સ રોકવામાં યુવાનોને સહભાગી થવા હાંકલ કરી હતી. વ્યક્તવ્યના અંતે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ સક્રિય રીતે પ્રશ્નો પૂછીને ચર્ચામાં ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન એમ.એસ.ડબલ્યુ પ્રોગ્રામના અધ્યાપક શ્રી નવીનકુમાર રોહિત દ્વારા કરવામાં આવ્યું હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

