હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પુરું પાડતી ઐતિહાસિક મોટામિયાં માંગરોળની દરગાહ ખાતે ગુરૂપૂર્ણિમાની કરાયેલી ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુરુ પૂર્ણિમાનાં અવસર નિમિત્તે તાલુકા મથક માંગરોળ ખાતે આવેલ ઐતિહાસિક મોટામિયાં માંગરોલની ગાદી ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ઘેર-ઘેર ગાય પાળો, કોમી એકતા, ભાઈચારો, માનવસેવા, વ્યસનમુક્તિ, ઘેર ઘેર વૃક્ષો વાવોનો સંદેશ આપતી મોટામિયાં માંગરોળની ગાદીનાં વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ હઝરત પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીએ રહેઠાણ પાલેજ મુકામે તથા તેમનાં સુપુત્ર-અનુગામી ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી મોટામિયાં માંગરોલની ગાદી ખાતે ઉપસ્થિત રહી મુલાકાત આપી આશીર્વાદ આપ્યા હતાં.
વર્ષોની પરંપરા અનુસાર ગુરુ પૂર્ણિમાનાં દિને વિશેષ સંદેશ પાઠવતા જણાવવામાં આવ્યું હતું કે ગુરુ પ્રત્યેની આસ્થાને અડગ રાખવાની પ્રેરણા આપતો અવસર એટલે ગુરુપૂર્ણિમા. હાલમાં ગુણવત્તા માત્ર ભૌતિક જગત પૂરતી સીમિત થઇ ગઇ છે પરંતુ ખરેખર તો ગુણવત્તા જીવનમાં ઉતારવી જરૂરી છે. જીવનને ગુણવત્તાયુક્ત બનાવવા ગુરૂ જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે જીવનને આદર્શ બનાવતો અવસર ગુરુ પ્રાપ્ત કરાવી શકે છે. જીવનને ઉન્નત બનાવવા માટે ગુણવત્તા મહત્વનું ઘટક છે. આજનાં દિવસે શિષ્યએ ગુરુ તરફથી મળેલ ઉપદેશને અનુસરવુ જોઈએ. આ તકે તેમનાં દ્વારા કન્યા કેળવણી તથા શિક્ષણ પર ખાસ ભાર મૂકવા સાથે વૃક્ષ વાવવા પણ આહવાન કરવામાં આવ્યું હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

