ડુંગરગામ અને સાદડુનમાં રાજ્ય ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ‘એક પેડ માં કે નામ ૨.૦’ હેઠળ વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

‘એક પેડ માં કે નામ’ અભિયાન એ માતાની મમતાનું સાચું પ્રતિબિંબ છે – રાજ્ય ગૃહ મંત્રીશ્રી હર્ષ સંઘવી

તાપી જિલ્લામાં વૃક્ષારોપણનું કાર્ય ઉત્કૃષ્ટ અને ગૌરવનો વિષય – વન મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 12 . તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડુંગરગામ અને સોનગઢ તાલુકાના સાદડુન ગામે આજે “એક પેડ માં કે નામ 2.0” અભિયાન અંતર્ગત રાજ્ય ગૃહ મંત્રીશ્રી હર્ષ સંઘવી તથા રાજ્યના વન, પર્યાવરણ, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના સંયુક્ત અધ્યક્ષપદે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સામાજિક વનીકરણ અને વન વિભાગ તાપી-સુરતના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ઉપસ્થિતોને રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું અને વન્ય પ્રાણીઓના રેસ્ક્યૂ માટે ખાસ વાહનને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવ્યું હતું. આ અભિયાનને વધુ વ્યાપક અને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ વૃક્ષપ્રેમીઓએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે આવનારી પેઢી માટે વૃક્ષોની મહત્તા અંગે પણ માર્ગદર્શન આપતા રાજ્યના ગૃહ મંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “માતાની મમતા અને વૃક્ષનું જતન – બન્ને પ્રેમ અને લાગણીથી જોડાયેલા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા આહ્વાનને કેન્દ્રમાં લઈને દરેક નાગરિકે પોતાની માતાના નામે એક વૃક્ષ વાવીને પર્યાવરણહિતેષી અભિગમને સફળ બનાવવા માટે સહભાગી થવું જોઈએ.

તેમણે ઉમેર્યું કે, તાપી જિલ્લાના લોકોએ ગત વર્ષે જે વૃક્ષો વાવ્યા હતા, આજે તે વૃક્ષોનું ઉછેર અને વૃદ્ધિ જોઈને આનંદ અનુભવાય છે. તાપી જિલ્લા વૃક્ષારોપણના મહત્વના કામ માટે રાજ્યમાં આગવો સ્થાન ધરાવે છે અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે.

તાપી જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્ય કક્ષાના વન મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલા આ અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં ૧૪૧ કરોડથી વધુ વૃક્ષો વાવ્યા ગયા છે. માત્ર ગુજરાતમાં ૧૭. ૫ કરોડ વૃક્ષો વાવ્યા અને તેમાં તાપી જિલ્લાએ સર્વાધિક ૨૮ લાખ વૃક્ષારોપણ સાથે અગ્રણું સ્થાન મેળવ્યું છે. એક પેડ માં કે નામ માત્ર અભિયાન નથી, પણ માતાના અપાર ઋણને યાદ કરવાનો એક અભિવ્યક્તિપૂર્ણ પ્રયાસ છે.

આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ રોપાઓનું વિતરણ કરીને તાપી અને સમગ્ર ગુજરાતને હરિયાળું બનાવવા માટે સર્વેને વૃક્ષારોપણ કરવા આહ્વાન કર્યું હતું.

કાર્યક્રમમાં રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ, સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, ધારાસભ્ય ડો. જયરામભાઈ ગામીત, સુરત રેંજના IG શ્રી પ્રેમવીરસિંહ, સંગઠનના મહામંત્રી રત્નાકારજી, વન સંરક્ષક શ્રી પુનીત નાયર (સુરત) અને શ્રી આનંદકુમાર (ભરૂચ), તથા ભૂતપૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સૂરજભાઈ વસાવા સહિત અન્ય અગ્રણીઓએ હાજરી આપી હતી.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *