તાપી જિલ્લામાં ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શાનદાર ઉજવણી કરાઈ
જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ વ્યારા ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને યોજાયો
તંદુરસ્ત જીવન અને સુખાકારી માટે નિયમિત યોગ કરીએઃ- આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ
-તમામ તાલુકા મથક,ગ્રામ પંચાયતો,શાળા-કોલેજો અને બે ઈકો ટુરિઝમ સાઈટ ખાતે યોગના કાર્યક્રમો યોજાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૧- તાપી જિલ્લાના મુખ્યમથક વ્યારાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રીશ્રી કુંવજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને “યોગા ફોર વન અર્થ, વન હેલ્થ ”ની થીમ અને મેદસ્વિતા મુક્ત ગુજરાતના ધ્યેય સાથે જિલ્લાકક્ષાએ ૧૧માં “ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ તાપી જિલ્લાને ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે આપણી તંદુરસ્તી અને સુખાકારી જીવન માટે યોગ કરવો જોઈએ. યોગથી આત્મા અને શરીરનું જોડાણ થાય છે. મન શાંત થાય છે.
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ અને વડાપ્રધાનશ્રીએ વિશ્વભરમાં જે રીતે યોગને માન્યતા અપાવી છે, એનું પરિણામ છે કે આજે સમગ્ર વિશ્વમાં કરોડો લોકો યોગ સાથે પોતાના જીવનને આરોગ્યમય બનાવી રહ્યા છે. ત્યારે યોગ દિવસ એ માત્ર એક તારીખ તરીકે નહીં પરંતુ આધ્યાત્મિક રીતે શાંતિમય અને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે આપણે નિયમિત યોગ કરવો જોઈએ.
વધુમાં ઉમેરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,તાપી જિલ્લો પ્રાકૃતિક સંપદાથી ભરપૂર છે. કુદરતે આપણા સ્વાસ્થ્ય માટે સુંદર વાતાવરણ પૂરું પાડ્યું છે ત્યારે તાપીવાસીઓને તંદુરસ્ત અને સ્વસ્થ રહેવા માટેની શુભકામનાઓ પાઠવી હતી.
નોંધનિય છે કે તાપી જિલ્લાના તમામ તાલુકા મથક,ગ્રામ પંચાયતો,શાળા-કોલેજો અને બે ઈકો ટુરિઝમ સાઈટ આંબાપાણી અને પદમડુંગરી ખાતે યોગના વિશેષ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો યોગમય બન્યા હતા. આ સાથે યોગપ્રેમીઓએ સરકારશ્રીના યોગ સબંધિત જીવંત પ્રસારણ કાર્યક્રમને નિહાળ્યો હતો. રાજ્યના રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ અને રાજ્યના યોગબોર્ડ તથા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રિય યોગ દિવસની સમગ્ર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વ્યારા ખાતે આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણી નિમિત્તે ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી,કલેકટરશ્રી ડૉ. વિપિન ગર્ગ,જિલ્લા પોલીસ વડા શ્રી રાહુલ પટેલ,પ્રયોજના વહીવટદારશ્રી જયંતસિંહ રાઠોડ,નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર.બોરડ,તાપી શાસકપક્ષાના હોદ્દેદાર અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઈ વસાવા,વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ,વિવિધ શાળાના બાળકો તથા વ્યારાનગરજનોએ યોગ કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
0000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
