તાપી જિલ્લાના વિવિધ ગામોમાં કૃષિ જાગૃતિ યાત્રા થકી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ

અંદાજિત ૨૩,૯૩૪ ખેડૂતો અને મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈ વૈજ્ઞાનિક માર્ગદર્શન મેળવ્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૨ જૂન. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR), નવી દિલ્હી તથા નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના સહયોગથી તાપી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા દ્વારા તા. ૨૯ મે, ૨૦૨૫થી ૧૨ જૂન, ૨૦૨૫ સુધી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત કૃષિ જાગરણ યાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તાપી જિલ્લાના ૭ તાલુકાના ૧૫૦ ગામોમાં કુલ ૨૩,૯૩૪ ખેડૂતભાઈઓ અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો
આ યાત્રાનો શુભારંભ ડોલવણ તાલુકાના બરડીપાડા ગામેથી કરવામાં આવ્યો હતો. અભિયાન દરમિયાન ખેડૂતભાઈઓ અને બહેનોને કૃષિ વૈજ્ઞાનિકો અને અધિકારીઓ દ્વારા પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ, રોગ-જીવાત નિયંત્રણ, સોઇલ હેલ્થ કાર્ડ, પ્રાકૃતિક ખેતી, એગ્રી-ડ્રોન ટેક્નોલોજી, પશુપાલન, ઉદ્યોગસાહસિકતા વિકાસ અને સરકારની ખેડૂતો માટેની વિવિધ યોજનાઓ અંગે વિશિષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ. ઝેડ. પી. પટેલની પ્રેરણા અને માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એચ. આર. શર્માના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાના વિવિધ ગામોમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ખેડૂતોના દ્વારે કૃષિ જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આદિવાસી ખેડૂતો અને મહિલાઓ દ્વારા અભિયાનને ઉમદા પ્રતિસાદ મળ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અભિયાન દ્વારા ખેતીના ખર્ચ ઘટાડવા તેમજ આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવવાની પ્રેરણા મળી છે.
અભિયાનને સફળ બનાવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ્યારાના વૈજ્ઞાનિકશ્રીઓ, નવસારી કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞશ્રીઓ, ખેતીવાડી અને બાગાયત વિભાગના અધિકારીઓ, આત્મા-તાપી, ઈફકો-ક્રિભકો-તાપીના અધિકારીઓએ મહત્વનો ફાળો આપ્યો હતો.
તાપી જિલ્લામાં આ અભિયાન અંતર્ગત ખેડૂતોના દ્વારે વિજ્ઞાન આધારિત માહિતી અને માર્ગદર્શન પહોંચાડતી આવી યાત્રા શ્રેણી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.
નોંધનીય છે કે, ભારતના ૭૦૦થી વધુ જિલ્લામાં આયોજિત અભિયાન અંતર્ગત ૧૯,૦૦૦થી વધુ વૈજ્ઞાનિકો અને અધિકારીઓની ટીમ દ્વારા ૧.૫ કરોડ ખેડૂતો સુધી કૃષિ માહિતી પહોંચાડવામાં આવી હતી.
0000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.