તાપી જિલ્લા ખાતે વિવિધ ગામોમાં ખેડૂતોના દ્વારે ભારત કૃષિ જાગરણ યાત્રા થકી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું આયોજન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR), નવી દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું એકમાત્ર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. સદર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તા. ૨૯ મે, ૨૦૨૫ થી ૧૨ જૂન, ૨૦૨૫ દરમ્યાન નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ. ઝેડ. પી. પટેલની પ્રેરણા અને માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એચ. આર. શર્માના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાના વિવિધ ગામોમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ખેડૂતોના દ્વારે કૃષિ જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
સદર યાત્રાનો શુભારંભ ડોલવણ તાલુકાના બરડીપાડા ગામેથી કરવામાં આવ્યો હતો. સદર અભિયાન હેઠળ ખેડૂતોને કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓ તથા અધિકારીશ્રીઓ દ્વારા વિવિધ પાકોની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ, પાકોમાં રોગ-જીવાત નિયંત્રણ, પ્રાકૃતિક ખેતી, સોઇલ હેલ્થ કાર્ડ, એગ્રી-ડ્રોન ટેકનોલોજી, પશુપાલન, કૃષિ અને સંલગ્ન વ્યવસાય થકી ઉદ્યોગસાહસિકતા વિકાસ તથા કૃષિ અને બાગાયત ખાતાની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવે છે તેમજ ખેડૂતોના ખેતી તેમજ સંલગ્ન વ્યવસાયોના પ્રશ્નોનું ચર્ચા દ્વારા નિરાકરણ કરવામાં આવે છે.
વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કાર્યક્રમમાં અત્યાર સુધી ડોલવણ તાલુકાના ૧૨ ગામ, વાલોડ તાલુકાના ૧૫ ગામ અને સોનગઢ તાલુકાના ૧૨ ગામના ૫૮૦૨ આદિવાસી ખેડૂતભાઇઓ અને ૨૭૦૫ મહિલાઓ મળી કુલ ૮૫૦૭ ખેડૂતો/મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો છે. સદર કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ્યારાના વૈજ્ઞાનિકશ્રીઓ, નવસારી કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞશ્રીઓ, ખેતીવાડી-બાગાયત ખાતાના અધિકારીશ્રીઓ, આત્મા-તાપીના અધિકારીશ્રીઓ, ઇફકો-તાપી, ક્રિભકો-તાપીના અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહી ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.