ડાંગ જીલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે વિશ્વ મધમાખી દિવસ-૨૦૨૫ ઉજવાયો

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : નવસારી કૃષિ યુનિવર્સીટી, નવસારી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., વઘઈ (ડાંગ) દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતીશ્રી, ડો. ઝેડ. પી. પટેલના માર્ગદર્શન હેઠળ “વિશ્વ મધમાખી દિવસ-૨૦૨૫”ની ઉજવણી કરવામાં આવી. ૨૦મી મે નો દિવસ જગતભરમાં “વિશ્વ મધમાખી દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. “વિશ્વ મધમાખી દિવસ ૨૦૨૫” ની થીમ “કુદરત દ્વારા પ્રેરિત મધમાખી આપણા બધાને પોષણ આપે છે” છે.મધમાખીઓ તેનો ખોરાક મેળવવા માટે વનસ્પતિના ફૂલમાંથી મધુરસ અને પરાગ એકઠા કરવા માટે એક ફૂલ પરથી બીજા ફૂલ પર જાય છે ત્યારે પરાગ નયન પણ કરે છે અને પાક ઉત્પાદન વધારવામાં મદદરૂપ બને છે. આમ, મધમાખી પરોક્ષ રીતે આપણા બધાને પોષણ આપે છે.ગુજરાતના રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી કરતા ડાંગ જીલ્લામાં વઘઈ ખાતે આવેલ નવસારી કૃષિ યુનીવર્સીટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ મધમાખી દિવસ ૨૦૨૫ ઉજવવામાં આવેલ. આ તાલીમ કાર્યક્રમમાં લક્ષ્ય આધારિત ખેડૂતોને મધમાખી ઉછેર દ્વારા ટકાઉ વિકાસમાં તેમના યોગદાન વિશે જાગૃતિ લાવવા માટે માહિતગાર કરવામાં આવ્યા.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નકૃયુ, વઘઈ (ડાંગ)ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડો. એલ. વી. ઘેટિયા દ્વારા પૃથ્વીના પર્યાવરણના સ્વાસ્થ્યમાં મધમાખીઓ અને અન્ય કીટ પરાગવાહકોની મહત્વપૂર્ણ ભૂમિકા વિષે ભાર મુકીને મધમાખી સહિતના તમામ કીટ પરાગવાહકોનું રક્ષણ કરવા અને કૃષિક્ષેત્રે અન્ન તેમજ ફળ-ફળાદિનું ઉત્પાદન વધારીને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રકૃતિ દ્વારા પ્રેરિત ટકાઉ પ્રથાઓનું મહત્વ સમજાવવામાં આવેલ. વિશેષમાં તેઓએ ખેડૂતોને તાલીમ આપતા જણાવ્યું કે આશરે ૮૫ ટકા જેટલા પાકોમાં કીટકો દ્વારા પરપરાગનયન થતું હોય છે. જેમાંથી ૭૫-૮૦ ટકા પરાગનયન મધમાખીઓ દ્વારા થાય છે, એટલે કૃષિ પર્યાવરણમાં મધમાખીઓની વસ્તી જાળવવી અત્યંત આવશ્યક છે. મધમાખી દ્વારા થતા પરાગનયનથી ફળો વધારે બેસે છે, ફળોમાં બીજની સંખ્યા વધે છે અને ઉત્પાદન પણ વધે છે તેમજ ઉત્પાદનની ગુણવત્તા પણ સુધરે છે. જ્યાં વધુ પડતી રાસાયણિક દવાઓનો છંટકાવ થતો હોય, વર્ષભર મધમાખીને ખોરાક માટે પુષ્પધારી વનસ્પતિના મળે ત્યારે ત્યાં કુદરતમાં રહેલ મધમાખીની વસ્તી અપૂરતી રહે છે, આવા ખેતરોમાં જરૂરિયાત મુજબ ભાડાથી લાવેલ મધપેટીઓ મુકીને પાકમાં સંચાલિત પરાગનયન (managed pollination) દ્વારા વધુ પાક ઉત્પાદન મેળવી શકાય છે. સંચાલિત પરાગનયન માટે ભારતીય અથવા એસીયાટીક મધમાખી એપિસ સેરેના, ઇટાલિયન મધમાખી એપિસ મેલીફેરા અને સ્ટીંગલેસ બી ઘુસ્યા મધમાખીની જાત ઉપયોગી છે. દરેક તાલીમાર્થીને મધમાખીની પુસ્તીકાનુ વિતરણ કરવામા આવ્યુ હત્તુ.સમગ્ર કાર્યક્રનુ સંચાલન પ્રો. બિપીન વહુનીયાએ કર્યુ હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.