ડોસવાડા ડેમની આસપાસની ગાયસાવર અને રૂપવાળા સાઈટ પર રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે મુલાકાત લીધી

જે ખેડૂતો ડ્રીપ ઈરીગેશન કરશે તેમના ખેતરમાં ૨૪ કલાક વીજળી મળશે: મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૨. ઉકાઈ જળાશય આધારિત સોનગઢ, ઉચ્છલ અને નિઝર તાલુકાની ઉદ્વહન સિંચાઈ યોજના અંગે રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે રૂપવાડા અને ગાયસવાર સાઈટના ડોસવાડા ડેમ બાયફરગેશન ટેઇલ એન્ડ તળાવ ખાતે ચાલી રહેલા કામોની મુલાકાત લીધી હતી. આ સાઈટ પર માન.મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત રહેલ સભ્યશ્રી, સરપંચ, સ્થાનિક ગ્રામજનો તેમજ આગેવાનોએ પાણીના ફુલ અને નારિયળથી વધામણા કર્યા હતા.
ઉકાઈ જળાશયના ઉપરવાસમાં આવેલ સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડાનો ડુંગરાળ વિસ્તાર સિંચાઈની સુવિધાથી વંચિત હતો. આ તાલુકામાં ચોમાસામાં સારો વરસાદ પડતો હોવા છતાં પાણીની અછત હતી. આ સમસ્યા માટે ઉદ્વહન સિંચાઈ યોજના, એ જ માત્ર સમસ્યાનું નિરાકરણ હોવાથી આ યોજનાનો અમલ રાજ્ય સરકારના નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અંતર્ગત કરવામાં આવેલ છે. આ યોજનાનો અંદાજીત ખર્ચ રૂ. ૩૩૫.૩૬ કરોડ છે અને યોજના માટે બે પંપહાઉસ બાંધવામાં આવશે. સોનગઢ તાલુકાનો ડોસવાડા ડેમ પણ આ જ પાઈપલાઈન યોજનાથી ભરવાનું આયોજન છે. આ યોજનાથી સોનગઢ તાલુકાના ૫૪ ગામો જે સિંચાઈ સુવિધાથી વંચિત છે તેમને સિંચાઈ સુવિધાઓ પુરી પાડવમાં આવશે. લગભગ ૨૨૦૦૦ એકર જમીનને કૃષિનો લાભ મળશે.
આ મુલાકાત વેળાએ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે ગાયસાવર ગામે લોકોને સંબોધતા જણાવ્યું હતું કે ઉકાઈ ડેમના પાણીથી તાપી જિલ્લો હર્યોભર્યો છે. પરંતુ આ જ જિલ્લાના કેટલાક ગામોને આ પાણીનો લાભ ન મળતો હતો. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ છે કે છેવાડાના માનવીને તમામ સુવિધાઓનો લાભ મળે. આવા અંતરિયાળ ગામના આદિવાસી લોકોના કલ્યાણઅર્થે આ ઉદવહન યોજનાનો આવિર્ભાવ થયો છે. હજુ પણ જે ગામો આ યોજનાથી વંચિત છે ત્યાં ઉકાઈનું પાણી પહોચાડવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત પાકનો લાભ મળશે તેની ખાતરી આપું છુ. વધુ ઉમેરતા તેમણે ખેડૂતોને સુચન કર્યું હતું કે તમે તમારા ખેતરમાં ડ્રીપ ઈરીગેશનનો ઉપયોગ કરો તો પાણીની બચત થશે અને ખેડૂતોને ૨૪ કલાક વીજળીની સુધીધાઓ પણ મળશે. આ ઉપરાંત માન.મંત્રીશ્રીએ ગામના સરપંચ, સ્થાનિક ગ્રામજનો તેમજ આગેવાનોને ગામવાર મંડળીની રચના કરી, માઇક્રો ઇરીગેશન દ્વારા ખેતી કરવા સૂચન કર્યુ હતું.
આ મુલાકાત વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા, ધારાસભ્ય શ્રી ડો.જયરામભાઈ ગામીત અને મોહનભાઈ કોંકણી, શ્રી આર.એમ.પટેલ, મુખ્ય ઈજનેર(દ.ગુ.) અને અધિક સચિવ, શ્રી એ.આર.પટેલ, અધિક્ષક ઈજનેર, ઉકાઈ વર્તુળ(સીવીલ), ઉકાઈ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરજ વસાવા, મિતેશ વસાવા, તાલુકા સદસ્ય શ્રી યુસુફભાઈ, ગ્રામજનો અને ખેડૂતો હાજર રહ્યા હતા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.