વ્યારાના વાઝરડા-૨ ખાતે નવીન આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયું

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૬. :- તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં આવેલ વાઝરડા ગ્રામ પંચાયતમાં બાળકોના પ્રારંભિક શિક્ષણ અને પોષણના હેતુસર નવનિર્મિત ‘આંગણવાડી કેન્દ્ર વાઝરડા-૨’ નો લોકાર્પણ કાર્યક્રમ ગ્રામ પંચાયતના સરપંચશ્રી જશુબેન જી. ગામીત, ઉપસરપંચશ્રી, પૂર્વ સરપંચશ્રી અને ગામના આગેવાનો, ગ્રામજનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ નવીન આંગણવાડી કેન્દ્રની દીવાલો પર રંગબેરંગી અને આકર્ષક ભીંતચિત્રો દ્વારા કક્કો, બારાખડી, ફળો-શાકભાજી અને જ્ઞાનવર્ધક ચિત્રો દોરીને ભૂલકાંઓ માટે સુંદર શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર ખાતે બાળકોમાં કુપોષણ નાબૂદી માટે સરકારશ્રીની મહત્વકાંક્ષી ‘દૂધ સંજીવની યોજના’ અંતર્ગત બાળકોને વિટામિનયુક્ત ફ્લેવર્ડ દૂધ તેમજ સગર્ભા-ધાત્રી માતાઓ અને બાળકોના ઉત્તમ સ્વાસ્થ્ય માટે ‘THR (ટેક હોમ રાશન)’ નિયમિતપણે મળી રહેશે.
આ અવસરે ગ્રામ પંચાયતના સભ્યો, શાળા વ્યવસ્થાપન સમિતિના પ્રમુખશ્રી, આઈ.સી.ડી.એસ. વિભાગના મુખ્ય સેવિકા બહેન તથા આંગણવાડી કાર્યકર બહેનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજન માતાઓ, વાલીઓ અને ઉત્સાહી બાળકો હાજર રહ્યા હતા.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
